Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

અમદાવાદમાં જાહેરમાં થુંકવા-ગંદકી કરવાનો દંડ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની એન્‍ફોર્સમેન્ટ ટીમના સભ્યોએ ભરવો પડ્યો

અમદાવાદ: હાલ જે રીતે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ટ્રાફીક, ગંદકી અને દબાણ સહીતના મુદ્દે નાગરીકોને દંડવામાં આવી રહ્યા છે, તેને લઇને સરકારી તંત્રની કામગીરી અંગે નાગરીકો પણ એટલા જ જાગૃત થયા છે. જેવો મોકો મળે તે સાથે જ નાગરીકો સરકારી તંત્રની ભૂલ ઉજાગર કરતા ખચકાતા નથી. આવીજ જાગૃતતા અમદાવાદમાં જોવા મળી હતી. કે જ્યાં જાહેરમાં થૂંકવા, ગંદકી કરવા કે પછી ટ્રાફીક નિયમોનો ભંગ કરવા બદલ લોકોને દંડ કરતી શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમના(JET) સભ્યોને જ ફરજ દરમ્યાન દંડ ભરવાનો વારો આવ્યો હતો.

    નિમયમોનું પાલન કરાવનારે જ તોડ્યો નિયમ

    ચઢી ગયા જાગૃત નાગરીકની નજરે

    અને ભરવો પડ્યો નિયમ તોડવા બદલ દંડ

જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસની સંયુક્ત ટીમ, કે જે મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડમાં એટલે કે સમગ્ર શહેરમાં ફરતી રહે છે. જાહેરમાં ગંદકી કરનારા, દબાણ કરનારા, ટ્રાફીક તેમજ પાર્કિંગ નિયમોનો ભંગ કરનારા લોકો પાસેથી દંડ વસુલે છે. તંત્રની આ કામગીરીને લઇને નાગરીકોમાં પણ કચવાટ જોવા મળતો રહે છે. પરંતુ લોકો પાસેથી દંડ વસુલતી આ ટીમના સભ્યો જ નિયમનો ભંગ કરે તો?

જેટના બે સભ્યો વેજલપુરમાં એએમસીની વોર્ડ ઓફીસ પાસે થુંકતા એક જાગૃત નાગરીકની નજરે ચઢી ગયા હતા. બસ, પછી તો જાગૃત નાગરીકને મળી ગયો મોકો તંત્રને આડે હાથે લેવાનો. જે રીતે જેટના સભ્યો દ્વારા નાગરીકોને દંડવામાં આવે છે, તદ્દન એજ રીતે આ નાગરીકે જેટના સભ્ય એવા એએમસીના સોલીડ વેસ્ટ વિભાગના કર્મચારીને ભારપૂર્વક કહ્યુ કે, તમારા જ બે કર્મચારીઓને જાહેરમાં થૂંકતા જોયા છે. તો તમે એમને દંડ કરશોજાગૃત નાગરીકની મક્કમતા જોઇને સોલીડ વેસ્ટ વિભાગના કર્મચારી સતિષ ગોહીલે દંડ વસુલવાની પ્રક્રીયા હાથ ધરી હતી. જાગૃત નાગરીકને નજરે થૂંકતા ચઢી ગયેલા એક હતા વેજલપુર પોલીસ સ્ટેશનના આ કર્મચારી અને બીજા હતા જેટ રીક્ષાના ડ્રાઇવર, કે જેઓ ત્યાંથી જતા રહ્યા હતા.

લગભગ 5 મિનીટની ચર્ચા-દલીલના અંતે જાગૃત નાગરીકે જાહેરમાં થૂંકનારા બન્ને કર્મચારીઓ પાસેથી રૂ. 100-100 નો દંડ વસુલવા માટે એમના જ સાથી કર્મચારીને ફરજ પાડી હતી. એટલુ તો સ્પષ્ટ છે કે, સરકાર નિયમ બનાવે છે તેના પાલનની જવાબદારી તમામ નાગરીકોની છે. પરંતુ એનાથી વધુ જવાબદારી આ નિયમોનું પાલન કરાવનાર અધિકારી-કર્મચારીની છે. ત્યારે અમદાવાદમાં સામે આવેલો શહેજીનની જાગૃતીનો આ કિસ્સો તંત્ર માટે આંખ ઉઘાડનારો સાબિત થશેએ ચોક્કસ છે.

(5:50 pm IST)