Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

કલમ ૩૭૦ને દૂર કરાયા બાદ શાહ ૨૮મીએ ગુજરાત પ્રવાસે

વિમાની મથકે ભવ્ય સ્વાગત કરવા માટે તૈયારીઃ મિલેનિયમ ટ્રી કાર્યક્રમના સમાપન અવસરે વૃક્ષારોપણના કાર્યક્રમમાં હાજરી આપશે : બેટરી સંચાલિત બસની એન્ટ્રી

અમદાવાદ,તા.૨૬: આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ઇલેકટ્રોનિક મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતના પનોતાપુત્ર, ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી ૨૮ ઓગષ્ટના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.  સમગ્ર દેશ વર્ષોથી જેની રાહ જોઇ રહ્યો હતો તેવા કાશ્મીરમાંથી ૩૭૦ અને ૩૫એ ની કલમને હટાવવાના ઐતિહાસિક નિર્ણય લીધા બાદ દેશના ગૃહમંત્રી અમિત શાહ પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા અને ભાજપાના કાર્યકરો તેમને આવકારવા અને અભિનંદન આપવા થનગનાટ અનુભવી રહ્યા છે. તારીખ ૨૮ ઓગષ્ટના રોજ રાત્રે ૯.૦૦ વાગ્યે તેઓ અમદાવાદ આવશે ત્યારે એયરપોર્ટ પર ભાજપા કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આગામી તારીખ ૨૯ ઓગષ્ટના રોજ અમિત શાહ સવારે ૧૦.૧૫ કલાકે સાયન્સ સીટી રોડ, અમદાવાદ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત મીલેનીયમ ટ્રી કાર્યક્રમના સમાપન પ્રસંગે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ વિશ્વની સૌ પ્રથમ બેટરી સંચાલિત સીટીબસને પ્રસ્થાન કરાવશે.  ત્યારબાદ ભારત સરકારના  દિશા કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર ખાતે યોજાનાર બેઠકમાં બપોરે ૩.૦૦ કલાકે ઉપસ્થિત રહેશે તેમજ ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પેટ્રોલીયમ યુનિવર્સીટીના ૭માં પદવીદાન સમારોહમાં સાંજે ૫.૦૦ કલાકે અમિત શાહ ઉપસ્થિત રહેશે. તારીખ ૨૯ ઓગષ્ટના રોજ રાત્રે તેઓ દિલ્હી જવા રવાના થશે. 

(9:42 pm IST)