Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

ગુજરાતમાં ૮ હજાર જેટલા મહેસુલી કર્મચારીઓએ રાજ્ય સરકાર સામે 'બાયો' ચઢાવી : પડતર વિવિધ પ્રશ્નો અંગે નિરાકરણ ન આવતાં આગામી તા.29થી અચોક્કસ મુદતની હડતાલ પર જવાનું એલાન કરતું ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ : સમગ્ર રાજ્યનુ રેવન્યૂ કામકાજ ખોરવાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ૮ હજાર જેટલા મહેસુલી કર્મચારીઓએ રાજ્ય સરકાર સામે 'બાયો' ચઢાવી છે. પડતર વિવિધ પ્રશ્નો અંગે નિરાકરણ ન આવતાં આગામી તા.29થી અચોક્કસ મુદતની હડતાલ પર જવાનું ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળે એલાન કર્યું છે. આ અંગેની સત્તાવાર જાહેરાત મહામંડળના પ્રમુખે કરી છે. તેઓ એક અઠવાડિયાના તબક્કાવાર આંદોલન બાદ બેમુદતી હડતાળ પર જશે. રાજ્યના અંદાજે 7થી 8 હજાર જેટલા કર્મચારીઓ હડતાળ પર જતાં સમગ્ર રાજ્યનુ રેવન્યૂ લક્ષી વહીવટી કામકાજ ખોરવાશે.

રાજ્યના રેવન્યૂ કર્મચારીઓએ કૌશિક પટેલની ગેરહાજરીમાં જેમને મહેસૂલનો ચાર્જ સોંપાયો હતો. તેવા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આવેદન પત્રો પાઠવીને કર્મચારીઓની બઢતી-બદલી જેવા પ્રશ્નોની અવારનવાર રજૂઆતો કરી છે. તા.21-5-2018ના પરિપત્રથી કલાર્ક સંવર્ગના કર્મચારીઓને નાયબ મામલતદાર કક્ષામાંથી પ્રમોશન જિલ્લામાં ખાલી જગ્યા હોવા છતાં અન્ય જિલ્લામાં ફાળવેલા છે.

આવા કર્મચારીઓને મુળ મહેકમના જિલ્લામાં મુકવાની મહામંડળની માગણી છે. આ ઉપરાંત કલાર્ક-રેવન્યૂ તલાટી સંવર્ગમાંથી નાયબ મામલતદારના પ્રમોશન આપવા, 2009ની કલાર્કની બેચના તમામ કલાર્કનો સમાવેશ કરવા, નાયબ મામલતદારથી મામલતદારની સિનિયોરિટી યાદી તૈયાર કરવા માગણી કરવામાં આવી છે.

રાજ્યના નાયબ મામલતદારોની 2400 જગ્યા ખાલી છે. આવા મુદ્દાઓ અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઇ નથી. જેથી આજે તમામ જિલ્લા મથકોએ માસ સી.એલ. નો કાર્યક્રમ આપ્યો છે. આ પહેલા પણ તા.19ના કર્મચારીઓ કાળીપટ્ટી ધારણ કરી વર્ક ટૂ રુલનો કાર્યક્રમ આપ્યો હતો. તા.26ના માસ સીએલ અને જિલ્લા કચેરીએ સૂત્રોચ્ચાર કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. જો હજી પણ સરકાર તેમની માંગો પ્રત્યે ધ્યાન નહીં આપે તો તારીખ. 29 ઓગસ્ટના અચોકકસ મુદતની હડતાલ શરૂ કરાશે.

(4:33 pm IST)