Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ચાંદખેડાના કપલના કેસમાં કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

પત્નિએ કોર્ટ કેસ કર્યો હોય તે કારણોસર છૂટાછેડા ના આપી શકાય

પત્નિએ પતિ વિરુદ્ઘ કોર્ટ કેસ કર્યો તે આધાર પર છૂટાછેડાની અરજી ના સ્વીકારી શકાય : ૩૦ વર્ષના એક યુવકની છૂટાછેડાની અરજી ગાંધીનગર કોર્ટે ફગાવી. : પત્ની અવારનવાર પોલીસ ફરિયાદ કરતી હોવાની યુવકની ફરિયાદ. : ગાંધીનગર કોર્ટે કહયું કે કોર્ટ કેસ કરવાને ક્રુરતાની શ્રેણીમાં દાખલ ના કરી શકાય.

અમદાવાદ, તા.૨૬: ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં કોર્ટે ૩૦ વર્ષના એક યુવકની છૂટાછેડાની અરજી ફગાવતા કહ્યું કે, કોર્ટ કેસ ફાઈલ કરવાને ક્રૂરતા ના કહી શકાય. પત્ની પોતાના પતિ વિરુદ્ઘ કોર્ટ કેસ દાખલ કરે છે માત્ર તે કારણોસર છૂટાછેડા આપી ના શકાય. આ કેસ ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક કપલનો છે, જેમના લગ્ન જૂન ૨૦૧૫માં થયા હતા. પતિએ ૨૦૧૭માં ગાંધીનગરમાં સીનિયર સિવિલ જજની અદાલતમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી.

પતિએ પોતાની પત્ની વિરુદ્ઘ અત્યાચારની ફરિયાદ સાથે આ અરજી દાખલ કરી હતી. જો કે પૂરતા પુરાવા રજુ ના કરી શકવાના કારણે કોર્ટે આ અરજી ફગાવી હતી. પતિએ આરોપ મુકયો હતો કે પત્ની તેના વૃદ્ઘ માતા-પિતા સાથે સારો વ્યવહાર નથી કરતી. આ સિવાય ૨૦૧૬માં જયારે તે ગર્ભવતી હતી ત્યારે ગર્ભપાત કરાવવાનું દબાણ કરતી હતી. ૨૦૧૭માં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પત્ની તરફથી દાખલ કરવામાં આવેલી પોલીસ ફરિયાદનો ઉલ્લેખ કરીને પતિએ ફરિયાદ કરી કે પત્ની સતત પરિવારને પરેશાન કરે છે અને આર્થિક નુકસાન પહોંચાડવા માટે કેસ દાખલ કરતી રહે છે.આ પહેલા તેની પત્નીએ અમદાવાદ ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

પત્ની તરફથી પણ ગાંધીનગરની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી પતિને આદેશ આપવામાં આવ્યો હતો કે પત્નીને ગુજરાન માટે ભથ્થું આપવામાં આવે. ત્યારપછી પત્નીએ ગુજરાનની રકમ માટે અન્ય એક અરજી દાખલ કરી હતી. સુનાવણી પછી કોર્ટે કહ્યું કે કોર્ટના કેસને ક્રૂરતાની શ્રેણીમાં ના મુકી શકાય અને પતિ દ્વારા કરવામાં આવલી છૂટાછેડાની અડરજીને ફગાવી દેવામાં આવી.

(4:04 pm IST)