Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

ત્રણ દિવસમાં ધો.૧માં ૫.૭૨ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો: આજે અંતિમ દિવસે ૧.૮૮ લાખ બાળકોનું નામાંકન થયુ : શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી

મુખ્યમંત્રીના નેતૃત્વમાં ૧૭માં કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવને જ્વલંત સફળતા :રાજ્યભરમાં શાળાનુ પગથિયુ ચઢી રહેલા બાળકોમાં અત્યારથી જ પર્યાવરણની સમજ કેળવવાના ઉદ્દેશ સાથે મહાનુભાવો દ્વારા પ્રવેશોત્સવની સાથોસાથ વૃક્ષારોપણ કરી ૧,૫૮,૮૨૦ વૃક્ષોનું વાવેતર કરાયુ:2 લાખ ૩૦ હજાર ભૂલકાંઓનો આંગણવાડી-બાલમંદિરમાં પ્રવેશ; રૂ. ૨૮.૫૩ કરોડનું ભંડોળ અભિયાન દરમ્યાન પ્રાપ્ત થયું

અમદાવાદ :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં તા.૨૩ થી ૨૫ જૂન દરમ્યાન રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ– શાળા પ્રવેશોત્સવની ૧૭ મી શૃંખલામાં ૫ લાખ ૭૨ હજાર બાળકોનો ધોરણ-૧માં પ્રવેશ જનભાગીદારીના ઉમંગ-ઉત્સાહમય વાતાવરણમાં કરાવવામાં આવ્યો છે. જેમાં ધોરણ-૧માં ર,૮૦,૪૭૮ દિકરીઓ તથા ર,૯૧,૯૧૨ કુમારોનું શાળાઓમાં નામાંકન થયું છે. તે ઉપરાંત ત્રણ દિવસમાં ૧,૦૫૯ કુમાર અને ૭૧૬ કન્યા મળી કુલ ૧,૭૭૫ દિવ્યાંગ બાળકોના નામાંકન થયા છે. આ અભિયાન અંતર્ગત રાજ્યની આંગણવાડીઓ- બાલમંદિરમાં પ્રારંભિક શિક્ષા માટે ર,૩૦,૭૩૨ ભૂલકાંઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ત્રણ દિવસમાં કુલ ૨,૮૦,૪૭૮ કન્યાઓએ ધો.૧માં અને ૧.૧૨ લાખ બાળાઓએ આંગણવાડી- બાલમંદિરમાં પ્રવેશ મેળવ્યો છે. એટલુ જ નહિ, રાજ્યભરમાં શાળાનુ પગથિયુ ચઢી રહેલા બાળકોમાં અત્યારથી જ પર્યાવરણની સમજ કેળવવાનો અભિગમ અપનાવી મહાનુભાવો દ્વારા પ્રવેશોત્સવની સાથોસાથ વૃક્ષારોપણ કરી ૧,૫૮,૮૨૦ વૃક્ષોનું વાવેતર કરાયુ છે તેમ શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે.
શિક્ષણમંત્રી વાઘાણીએ આપેલી વિગતો અનુસાર રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યના ૨૨,૮૫૭ ગામોની કુલ ૩૦,૮૮૦ પ્રાથમિક શાળાઓને આ કાર્યક્રમ અંતર્ગત આવરી લઇ ૧૦૦ ટકા નામાંકનની દિશામાં નક્કર કદમ ભર્યુ છે. ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા સુધારણા સાથે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા ઉદાતભાવથી તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૩-૦૪ શરૂ કરેલા કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવના જનઅભિયાનની ૧૭મી શૃંખલા આજે મુખ્યમંત્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં સફળતાપૂર્વક સંપન્ન થઇ છે.
મંત્રીએ ઉમેર્યુ કે, શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની રાજ્ય સરકારની આ મુહિમને ખૂબ સારો જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે નાગરિકો દ્વારા આજે ત્રીજા દિવસે પણ અવિરત લોકસહકાર-દાન આપવામાં આવ્યુ છે. શાળા સંકુલોમાં માળખાગત સુવિધા વૃધ્ધિ માટે તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા સમાજ અગ્રણીઓ- સખાવતીઓએ આ અભિયાન દરમ્યાન દાનની જે સરવાણી વહાવી છે તે રૂ. ર૮.૫૩ કરોડ જેટલી થઈ છે. ત્રણ દિવસમાં રોકડ રૂ.૨.૫૪ કરોડ અને ચીજવસ્તુ સ્વરૂપમાં અંદાજે રૂ.૨૬ કરોડની રકમનો લોકસહકાર મળી અંદાજે રૂ.૨૮.૫૩ કરોડનો લોકસહકાર આ કાર્યક્રમ અંતર્ગત મળ્યો છે. 
મંત્રીએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસમાં રાજ્યની વિવિધ શાળાઓમાં મળી અંદાજે રૂ. ૨૫.૯૩ કરોડના ખર્ચે ૪૯૪ નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત બે દિવસમાં રાજ્યભરમાં ૨૩૬૪ શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરવામાં આવી છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ સ્તરથી જ કવોલિટી એજ્યુકેશનનો પાયો સુદ્રઢ કરતા કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવના આ ૧૭માં અભિયાનની ત્રિદિવસીય શૃંખલામાં ખુબ જ સારો જનપ્રતિસાદ સાંપડ્યો છે. જે રાજ્યમાં એક પણ વ્યક્તિ શિક્ષણથી વંચિત ન રહે અને ગુજરાતને ૧૦૦ ટકા શિક્ષીત રાજ્ય બનાવવાની દિશામાં મહત્વનું સાબિત થશે.

(8:24 pm IST)