Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

અમદાવાદ એરપોર્ટ પર ફરીવાર બર્ડ હિટનો બનાવ: 200થી વધુ મુસાફરો જીવ તાળવે ચોંટ્યા : એક મહિનામાં છઠ્ઠી ઘટના

ઈન્ડિગોની ફ્લાઈટ 6ઈ 823 બેંગલુરુ જવા ટેકઓફ થઈ રહી હતી ત્યારે પક્ષી સાથે ધડાકાભેર અથડાયું

અમદાવાદ : ચોમાસાની શરૂ થતાં જ અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ-લેન્ડીંગ કરતા વિમાનોને એક મહિનામાં છઠ્ઠી વખત બર્ડહિટની ઘટના સર્જાતા એરપોર્ટ ઓથોરિટીની ઉંઘ હરામ થઇ ગઇ છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી બર્ડહિટ અટકાવવા માટે લેવામાં આવતા તકેદારીના પગલાનો પણ ફિયાસ્કો જોવા મળી રહ્યો છે.

અમદાવાદથી શુક્રવારે સવારે 9.10 વાગે 220 પેસેન્જર સાથે ઈન્ડિગોની ફ્લાઈટ 6ઈ 823 બેંગલુરુ જવા રવાના થઈ હતી. ફ્લાઈટ ટેકઓફ થઈ રહી હતી ત્યારે જ પક્ષી સાથે ધડાકાભેર અથડાયું હતું. બર્ડહિટ થતાં ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

બીજી બાજુ, બર્ડહિટ થતાં થયેલા જોરદાર ધડાકાને પગલે ફાયર ટીમ, ક્વિક રિસ્પોન્સ ટીમ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ અલર્ટ મોડ પર આવી ગઈ હતી. પાયલોટે ફ્લાઇટની સ્પીડ કંટ્રોલ કરી લેન્ડિંગ કરાવી હતી. આ ઘટનામાં એરક્રાફ્ટની બ્લેડ તૂટી ગઈ હતી.

ઇન્ડિગોની બેંગલુરુ જતી ફ્લાઇટને બર્ડહિટ બાદ એરલાઇને અન્ય ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી, જે બપોરે 12.30એ ઊપડી હતી. બર્ડહિટ બાદ ફ્લાઈટને પરત લાવ્યા બાદ પેસેન્જરોને ઉતારી ટર્મિનલમાં પાછા લઈ જવાયા હતા.

  અત્રે ઉલ્લેખનીય છે કે એરપોર્ટ પર આવુ પ્રથમ વખત બન્યુ છે કે વિમાનને બર્ડહિટ થયાનો મેસેજ પાયલોટે નહીં પરંતુ સીઇઆઇએસએફના જવાને એર ટ્રાફિક કંન્ટ્રોલને આપ્યો હતો. આ ઉતકૃષ્ટ કામગીરી બદલ સીઆઇએસએફના જવાનને ડિપાર્ટમેન્ટ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

(12:23 pm IST)