Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

સામાન્ય માનવીની રજૂઆતોનું સ્થાનિક કક્ષાએ ત્વરાએ નિવારણ આવે તે જિલ્લા વહિવટીતંત્રની અહેમ પ્રાથમિકતા હોવી જોઇએ :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇનમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીએ ૮ રજૂઆતો સંવેદનાપૂર્વક સાંભળી જિલ્લા-તાલુકા અને રાજ્ય સ્વાગતની ર૬પપ રજૂઆતમાંથી રર૦૬ નું નિવારણ થયું: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના નિવારણ માટે ટેક્નોલોજીના વિનિયોગ દ્વારા ર૦૦૩ થી શરૂ કરાવેલા સ્વાગત માં અત્યાર સુધીમાં પ.ર૬ લાખ રજૂઆતોનું સુખદ નિવારણ :૯૯.૮૯ ટકા સિદ્ધિ :ગુજરાતની ગુડગર્વનન્સની અભિનવ પહેલ અન્ય રાજ્યો માટે પથદર્શક મોડેલ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, સામાન્ય માનવી-નાગરિકોની સમસ્યા-રજૂઆતોનું ત્વરાએ સ્થાનિક કક્ષાએ જ નિવારણ આવે તે વહિવટીતંત્રની અહેમ પ્રાથમિકતા હોવી જોઇએ

મુખ્યમંત્રીએ રાજ્યના પ્રજાજનોના પ્રશ્નોની રજૂઆત માટેના ઓનલાઇન જનફરિયાદ નિવારણના રાજ્યકક્ષાના સ્વાગતમાં જિલ્લા વહિવટી તંત્રવાહકોને આ અંગે દિશા નિર્દેશો આપ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદ કાળ દરમ્યાન શરૂ કરાવેલા આ ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણના ઉપક્રમમાં મે-ર૦રર મહિનાના ચોથા ગુરૂવારે યોજાયેલા રાજ્ય સ્વાગતમાં  ગાંધીનગરમાં મુખ્યમંત્રી જન સંપર્ક એકમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ૮ જેટલા અરજદારોની વિવિધ રજૂઆતો કાને ધરી હતી અને તેના સુચારૂ-યોગ્ય નિવારણ માટે સંબંધિત જિલ્લા-શહેરના વહિવટી તંત્રવાહકોને સૂચનો કર્યા હતા.
મુખ્યમંત્રી સમક્ષ રાજ્ય સ્વાગતમાં જે ૮ રજૂઆતો આવી હતી તેમાં ગૃહ, જળસંપત્તિ, ઊર્જા, મહેસુલ, શહેરી વિકાસ, પંચાયત વગેરે વિભાગોને સ્પર્શતી બાબતોનો સમાવેશ થાય છે
પ્રજાજનોની રજૂઆતો, ફરિયાદોના ટેક્નોલોજીના ઉપયોગથી ઓનલાઇન નિવારણ માટેના મે-ર૦રરના ‘સ્વાગત’માં જિલ્લા કક્ષાએ રજુ થયેલી ૩૧૮ માંથી ર૦૬ તથા તાલુકા સ્વાગતની રર૬૮ માંથી ર૦૯૪ મળી સમગ્રતયા ર૬પપ રજૂઆતો પૈકી રર૦૬ નું નિવારણ લાવી ૮૩.૦૯ ટકા રજૂઆતોનું નિરાકરણ કરવામાં આવ્યું છે
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના તેમના મુખ્યમંત્રી પદ કાળ દરમ્યાન ર૦૦૩થી આ સ્વાગત-ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરાવેલો છે.
રાજ્યકક્ષાનો સ્વાગત દર માસના ચોથા ગુરૂવારે યોજાય છે તેમાં મુખ્યમંત્રી પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને અરજદારોની રજૂઆતો સાંભળે છે. જિલ્લા કક્ષાનો સ્વાગત જિલ્લા કલેક્ટરની તથા તાલુકા સ્વાગત તાલુકા મામલતદારની અધ્યક્ષતામાં યોજાય છે
  નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ૨૦૦૩ થી શરૂ થયેલા રાજ્ય અને જિલ્લા સ્વાગતની સફળતાને પગલે તા.૧ જાન્યુઆરી ર૦૦૮ થી તાલુકા સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે અને ગ્રામીણ સ્તરે પણ લોકોની રજૂઆતોનું ટેક્નોલોજીના માધ્યમથી નિવારણ લાવવાના અભિગમ સાથે તા. ૧ ફેબ્રુઆરી-ર૦૧૧ થી ગ્રામ સ્વાગત શરૂ કરવામાં આવેલો છે.
આમ, સમગ્રતયા એપ્રિલ ર૦૦૩થી એપ્રિલ-ર૦રર સુધીમાં રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્વાગત મળી પ,ર૬,૮૦પ રજૂઆતોમાંથી ૯૯.૮૯ ટકા એટલે કે પ,ર૬,ર૩૯ નું સુખદ નિવારણ લાવવાની આગવી સિદ્ધિ મેળવવામાં આવી છે.
એટલું જ નહિ, ‘સ્વાગત’ને વિવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા છે તેમજ ગુજરાતની આ અભિનવ પહેલ અન્ય રાજ્યો માટે સુશાસનનું પથદર્શક મોડેલ બની છે.  

(12:34 am IST)