Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

વડોદરામાં છેલ્લા ત્રણ દિવસમાં રખડતા ઢોરના કારણે થયેલા અકસ્‍મામાં ચાર લોકો ઇજાગ્રસ્‍તઃ તંત્રની કામગીરી સામે રોષઃ શહેરમાં ઢોર પાર્ટીની આઠ ટીમો કામે લગવાઇ-મેયર

કોર્પોરેશન દ્વારા તમામ ઇજાગ્રસ્‍તોને વળતર આપવુ જોઇએઃ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્‍તવ

વડોદરાઃ વડોદરા શહેરમાં રખડતા ઢોરના ત્રાસ અને અકસ્‍માતને કારણે ઘણા લોકો ઇજાગ્રસ્‍ત થતા લોકોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે. છેલ્લા ત્રણ દિવસમાં ઢોર અકસ્‍માતમાં ચાર લોકો ઇજાગ્રસ્‍ત થયા છે, ત્‍યારે મેયરે જણાવ્‍યું કે પશુ નિયંત્રણ કાયદો છે, જ્‍યારે કોર્પોરેશન દ્વારા તમામ ઇજાગ્રસ્‍તોને વળતર આપવુ જોઇએ તેવુ પૂર્વ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્‍તવે જણાવ્‍યુ હતુ.

વડોદરા શહેરમાં રખડતાં પશુઓના કારણે અકસ્માતની ઘટનાઓ વધતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. તો બીજી તરફ મેયર કેયુરભાઈ રોકડીયાએ સંવેદના વ્યક્ત કરવાની સાથે સમસ્યાના નિરાકરણ માટે પશુ નિયંત્રણ કાયદાનું અમલીકરણ અનિવાર્ય બતાવ્યું છે. સાથે રખડતાં પશુઓના કારણે ઈજાગ્રસ્તોને વળતર બાબતે પણ વિચારણા હાથ ધરી છે.

વડોદરા શહેરમાં રખડતાં પશુઓના કારણે અકસ્માતના પગલે લોકો ઈજાગ્રસ્ત થઇ રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં ચાર લોકો ઇજાગ્રસ્ત બનતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. આજથી શહેરમાં ઢોર પાર્ટીની આઠ ટીમો કામે લગાડવામાં આવી છે. રાઉન્ડ ધી કલોક ઢોર પાર્ટીને કામ કરવાની આપી સૂચના પણ આપવામાં આવી છે. જ્યારે ટીમો ફિલ્ડમાં ના હોય ત્યારે પશુ માલિકો પશુ છોડતા હતા. હવે ટીમો સતત કામ કરશે, અને પશુ પાલક પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. 2011ના સર્વે પ્રમાણે શહેરમાં 18000 પશુઓ નોંધાયા હતા. અત્યારસુધીમાં 14000 પશુઓનું ટેગિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે.

વાઘોડિયા રોડ ઉપર એક વિદ્યાર્થીએ રખડતાં પશુઓના કારણે આંખ ગુમાવ્યા બાદ અન્ય બે યુવકો ઇજાગ્રસ્ત બન્યા છે. તદુપરાંત મંગળવારે પણ બાઈક સવાર પરિવારને ગાયે ભેટી મારતા બાઈક ચાલક અને છ વર્ષની બાળકીને ઈજાઓ પહોંચી હતી. આ અંગે મેયર કેયુર ભાઈ રોકડીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ઘટે છે અને તેમાં ઇજાગ્રસ્ત લોકો બાબતે તંત્રને સંવેદના છે. વડોદરા કોર્પોરેશન શક્ય તેટલી કામગીરી કરી રહ્યું છે. પશુ નિયંત્રણ કાયદો અમલમાં આવે તો રાહત મળવાની શક્યતા છે. વળતર બાબતે હાલ ધારાધોરણ નથી તે અંગે ચર્ચા વિચારણા કરીશું.

વડોદરા શહેરમાં વડોદરાના નાગરિકોને પાલિકાના તંત્રની બેદરકારીના કારણે ઇજા પહોંચે તો વડોદરા કોર્પોરેશન દ્વારા તમામ ઇજાગ્રસ્તોને વળતર આપવું જોઈએ. તેવી માંગ કોર્પોરેશનમાં પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કરી હતી. તેમણે કહ્યું કે,  ઇજાગ્રસ્તને જે રીતે ઇજા પહોંચી હોય તે રીતે તમામને વડોદરા પાલિકા દ્વારા વળતર આપવું જરૂરી છે.

(5:37 pm IST)