Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ગુજરાતમાં કોરોનાના કારણે 12.28 લાખ પરપ્રાંતિય શ્રમિકો વતનમાં જતા રહેતા વિવિધ ઇન્‍ડસ્‍ટ્રીઝ-ફેક્‍ટરીઓના પ્રોડકશન ઉપર ભારે અસર

અમદાવાદ :ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતિયો અને શ્રમિકો હિજરત કરી ગયા છે. પગપાળા, ટ્રેન, બસ... જે પણ રસ્તે તેઓને પોતાના વતન જવા મળ્યું તો તેઓ નીકળી ગયા છે. આ શ્રમિક વર્ગ ગુજરાતની વિવિધ ઈન્ડસ્ટ્રીઝ તેમજ ફેક્ટરીઓમાં કામ કરતો હતો. 24 મે, રવિવારની મધ્યરાત્રિ સુધીમાં ગુજરાતમાંથી 839 સ્પેશિયલ ટ્રેન મારફતે 12 લાખ 28 હજાર પરપ્રાંતિય શ્રમિકો વતન મોકલાયા છે. ત્યારે રાજ્યમાં વસતા પરપ્રાંતિય મજુરો વતન જતાં ઉદ્યોગોના પ્રોડક્શન પર મોટી અસર થઈ છે.

શ્રમિકો વતન જતાં ઉદ્યોગોના પ્રોડક્શન પર ભારે અસર થઈ છે. હજુ સરકાર ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, ત્રિપુરા, આંધ્રપ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાં શ્રમિક ટ્રેન મોકલાવાની દિશામાં કામ કરી રહી છે. ત્યારે આ મામલે સાણંદ જીઆઈડીસીના પ્રમુખ અને એફઆઇએ (ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એશોશીએશનના) ના સેક્રેટરી અજીત શાહે એક નિવેદનમાં જણાવ્યું કે, લોકડાઉન 4માં છૂટછાટ મળતા રાજ્યોની અલગ અલગ જીઆઇડીસીના કુલ 70 ટકા યુનિટ કાર્યરત થયા છે. જોકે હાલ પ્રોડક્શન નહિવત છે. પ્રોડક્શન રાબેત મુજબ શરૂ થતાં હજુ ચારથી પાંચ મહિનાનો સમય લાગશે. સાણંદ જીઆઇડીસીમાં ૩૦૦ યુનિટ સરકારની મંજુરી બાદ 185 યુનિટ શરૂ થયા છે. ૨૦ હજારથી વધુ પરપ્રાતિય મજુર સાણંદ જીઆઇડીસીમાંથી 17  હજારથી વધારે મજુર વતન પરત થયા છે.

હાલમાં જીઆઇડીસીમાં માત્ર 10 થી 15 ટકા પ્રોડકશન થઈ રહ્યું છે. ત્યારે ઉદ્યોગો શરૂઆતમાં જ વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. મજુરોની સમસ્યા, મટીરિયલની અછત અને કેશ લિક્વીડિટીના અભાવથી પ્રોક્શન પર ભારે અસર થઇ રહી છે. પ્રોડક્શન કોસ્ટમાં 22 ટકાનો વધારે થયો છે. જેના કારણે આવનારા દિવસોમાં મોંઘવારીમાં વધારો થશે. વાપી, અંકલેશ્વર અને વટવામાં કેમિકલ અને ફાર્મા રો મટીરિયલમાં સારી ડિમાન્ડ છે. જોકે મજૂરોની અછત વર્તાય રહી છે. જામનગરમાં બ્રાસ ઉદ્યોગ સારી સ્થિતિમાં છે, ત્યાં પણ મજુરોની અછતથી પ્રોડક્શન પર અસર થઈ છે.

(5:11 pm IST)