Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

અગ્નિકાંડ બાદ હવે ફાયરનો સપાટો : તક્ષશિલા અંતે સીલ

સુરતમાં ૮૮ કોમ્પલેક્ષ અને બિલ્ડીંગોને નોટિસ : સુરતમાં ૯૬૪ જેટલા ટયુશન કલાસીસ ફાયર સેફ્ટીની સુવિધા વિના ધમધમી રહ્યાં હોવાની વિગતો સપાટી ઉપર

અમદાવાદ, તા.૨૬ : સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આકેર્ડમાં સર્જાયેલા અગ્નિકાંડમાં ૨૩ વિદ્યાર્થીઓના મોતને લઇ સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર અને અરેરાટી મચી ગઇ ગઇ છે. ત્યારે હવે સુરત ફાયરબ્રિગેડ અને સુરત મહાનગરપાલિકાએ સમગ્ર સુરતમાં ફાયરસેફ્ટીના મુદ્દે સપાટો બોલાવ્યો છે. ફાયરવિભાગ અને સ્થાનિક તંત્રએ સુરતના જુદા જુદા વિસ્તારોમાં અસરકારક સર્વે હાથ ધરી ગેરકાયદે રીતે ચાલતાં કે ફાયરસેફ્ટી સુવિધા ના હોય તેવા ટયુશન કલાસીસ, ડાન્સ કલાસીસ કે અન્ય એકમો પર તવાઇ બોલાવવાનું શરૂ કર્યું છે.  સુરતમાં ફાયરસેફ્ટી સુવિધા વિના ચાલતાં કલાસીસના સર્વે માટે અલગ અલગ સાત ઝોનની ટીમો બનાવવામાં આવી છે. જેમાં સાતેય ઝાનમાંથી ૮૮ જેટલા કોમ્પલેક્ષને ફાયરસેફ્ટી મુદ્દે નોટિસ અને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે સુરત પંથકમાં ધમધમતા આવા કલાસીસ અને તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. સુરતના સરથાણા વિસ્તારની દુર્ઘટના બાદ કરાવેલા સર્વેમાં ચોંકાવનારૂ તથ્ય બહાર આવ્યું છે. આઠ માસ પહેલાં ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવાની તાકીદ છતા હજી પણ શહેરમાં ૯૬૪ જેટલા ટ્યૂશન ક્લાસીસ ફાયર સેફ્ટીની સુવિધા વિના ધમધમી રહ્યાં છે. આ તમામ ક્લાસીસને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે તાકીદ કરી છે. અને આજે સાત ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરતના અલગ અલગ વિસ્તારના ૮૮ જેટલા કોમ્પલેક્ષ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફાયર સેફ્ટીના અભાવે સીલ મારવાની કામગીરી હાથ ધરાઇ હતી. સરથાણા તક્ષશિલા દુર્ઘટના બાદ સફાળા જાગેલા તંત્રએ શહેરમાં ચાલતા ટ્યૂશન અને કોચીંગ ક્લાસીસનો સર્વે કર્યો હતો. એક દિવસમાં અલગ અલગ ટીમ બનાવીને સર્વે કર્યો હતો. જેમાં શહેરના તમામ ઝોનમાં ટ્યુશન ક્લાસીસ અને કોચીંગ ક્લાસીસમાં ફાયર સેફ્ટીની સુવિધાની ચકાસણી કરી હતી. જેમાં કતારગામ ઝોનમાં ૬૩, અઠવા ઝોનમાં ૯૩, રાંદેર ઝોનમાં ૯૫, સેન્ટ્રલ ઝોનમાં ૧૧૨, લિંબાયત ઝોનમાં ૧૫૧ વરાછા ઝોન-એમાં ૧૦૫, વરાછા ઝોન બીમાં ૧૨૪ અને ઉધના ઝોનમાં ૧૨૩ મળીને શહેરમાં કુલ ૯૬૪ જેટલા કોચીંગ ક્લાસીસ અને ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી તેને ઉભી કરવા માટે તાકીદ કરાઇ છે અને આગામી દિવસોમાં આ કામગીરી અસરકારક બનાવવામાં આવશે.

(7:32 pm IST)