Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

વડોદરાઃ પાદરાના મહુવાદ ગામમાં મંદિરના ઉપયોગની ફેસબુક પો‍સ્ટ પર વિવાદ: દંપતિ પર હુમલો કર્યો­

વડોદરાઃ પાદરાના મહુવાદ ગામમાં દલિતો પર અત્યાચારનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક દલિત યુવકે સરકાર દ્વારા દલિતોના લગ્નમાં મંદિરના ઉપયોગની છૂટ મળવી જોઈએ તેવી પોસ્ટ કરી હતી. જે પોસ્ટને લઈને અન્ય કહેવતા ઉચ્ચ જાતીના 200થી વધુ લોકોના ટોળાએ દલિત દંપત્તિના ઘર પર હુમલો કર્યો હોવાનો આરોપ લગાવાયો છે. ઘટનાને લઈને પોલીસે 11 લોકોની સામે ફરિયાદ દાખલ કરી છે. સાથે જ પોસ્ટ કરનાર દલિત યુવક સામે વિવિધ સમુદાયો વચ્ચે દુશ્મની વધારવાનો કેસ પણ દાખલ કર્યો છે.

મળતી માહિતી મુજબ, તારુલતાબેન મકવાણા નામની દલિત મહિલાએ ભીડ દ્વારા ઘર પર હુમલો કરવા, પથરો મારવા, પતિ પ્રવિણ મકવાણાને માર મારવા અને ધમકાવવાને લઈને વડુ પોલીસ મથકે 11 લોકો અને અજ્ઞાત લોકોના ટોળા સામે ફરિયાદ કરી છે. સાથે જ 200થી વધુ લોકો દ્વારા ઘર પર હુમલો કરાયાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, લાકડી, ડંડા, પાઈપ અને અન્ય હથિયારો લઈને ભીડ તેમના ઘરે પહોંચી હતી અને અમને અપશબ્દો આપવાના શરૂ કરી દીધા હતા.

જેવી હુંઘરમાંથી બહાર નીકળી કે લોકો મને થપ્પડ મારવા લાગ્યા. બાદમાં ભીડ તેમના ઘરમાં ઘૂસી ગઈ અને પ્રવિણને ખેંચીને ઘરથી બહાર કાઢી તેમને માર માર્યો હતો. મહિલાનું કહેવું છે કે લોકોએ મારા પતિને દમકાવતા કહ્યું કે જો તેમણે પોતાની ફેસબુક પોસ્ટ ડીલીટ ન કરી તો તેને કારણે ભોગવવું પડશે. એફઆઈઆરમાં મહિલાએ મહુવાદના ચૈતન્યસિંહ ઝાલા, મયુરસિંહ ઝાલા, મહિલ જાધવ, દિલીપસિંહ રાજપૂત, સંજયસિંહ પરમાર, અર્જુન પરમાર, નરેશ પરમાર, અરવિંદ પરમાર, દિલીપ પરમાર, કિશન પરમાર અને અજય પરમાર સહિત 11 લોકોના નામ લીધા છે.

પોલીસ મુજબ, 20 મેની ઘટનાને લઈને બંને સમાજો વચ્ચે સમાધાન નહીં થયા બાદ મહિલાએ ગુરુવારે પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ થયા બાદ તૈનાત રહેવા માટે ટુકડીને ગામમાં મોકલી છે પરંતુ હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી. જોકે ગામમાં તણાવનો માહોલ છવાયો છે અને હિંસાની આશંકા હોવાને પગલે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.

કેસની તપાસ કરી રહેલી વડોદરા ગ્રામ્ય પોલીસે કહ્યું કે, અમે આ અંગે ગામના લોકો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદન નોંધી રહ્યા છીએ. હાલ પોલીસ પ્રવિણ દ્વારા કરાયેલા કોઈ દાવાઓની સત્યતા સુધી પહોંચી રહી છે, કે ગામમાં દલિતોના લગ્ન સમારંભ માટે મંદિરમાં વ્યવસ્થા ન કરાયાની વાત સાચી છે કે નહીં. પરંતુ હજુ સુધી આ અંગેની વાત મળી નથી. જેને પગલે હજુ ફરિયાદમાં લખાયેલા લોકોની ધરપકડ કરાઈ નથી.

(1:48 pm IST)