Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

અમદાવાદ-ધોલેરા હાઇવે પર અકસ્માત : ચારના થયેલા મોત

ઇજાગ્રસ્ત પાંચ જણાંને હોસ્પિટલમાં દાખલ કરાયા : ધોલેરા-ભાવનગર હાઇવે પર પીપળી ગામ પાસે ઇનોવા કાર અને વેગનઆર કાર વચ્ચે ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ

અમદાવાદ,તા. ૨૬ : અમદાવાદ-ધોલેરા હાઇવે પર આજે ઇનોવા કાર અને વેગન આર કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યકિતના કરૂણ મોત નીપજયા હતા. જયારે અન્ય પાંચ જણા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, અકસ્માતના બનાવને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. બનાવને લઇ હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. તો, સ્થાનિક પોલીસે પણ અક્સ્માતની જાણ થતાં તાત્કાલિક ત્યાં પહોંચી જરૂરી તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ-ધોલેરા હાઇવે પર આજે ધોલેરા-ભાવનગર હાઇવે પર પીપળી પાસે ઇનોવા કાર અને વેગન આર કાર વચ્ચે આજે જોરદાર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, સામસામે અથડાયેલી બંને કારનો ભુક્કો બોલી ગયો હતો અને તેમાં ૈએક મહિલા, બે પુરૂષ અને બાળક સહિત ચાર વ્યકિતના કરૂણ મોત નીપજયા હતા. જયારે અન્ય પાંચ જણા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની ધંધુકા સ્થિત આરએમએસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં એક જ પરિવારના ચાર જણાંના જીવનદીપ બુઝાઇ ગયા હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. બનાવમાં એકસાથે  ચાર વ્યકિતના મોતને લઇ ઘટનાસ્થળે ઉમટી પડેલા લોકોમાં અને સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. અકસ્માતના બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને જરૂરી તપાસ હાથ ધરી હતી. બીજીબાજુ, અકસ્માતના બનાવને લઇ થોડી વાર માટે હાઇવે ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમડી પડયા હતા.

 

(9:41 pm IST)