Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

પ્રોપર્ટી ટેક્સને લઈને અનેક ફરિયાદો : ઉકેલ હજુ બાકી

૧૦૨૧ અરજીઓનો સ્થળ પર નિકાલ થયોઃ પ્રોપર્ટી ટેક્સની હજારો ફરિયાદ છતાં લોકદરબારમાં માત્ર ૧૪૭૨ અરજી : લોકોના લાભ માટે લોકદરબાર યોજાયો

અમદાવાદ,તા. ૨૬: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના તમામ છ ઝોનની ઝોનલ કચેરીમાં પ્રોપર્ટી ટેક્સને લગતા બે દિવસના લોકદરબારનું આયોજન કરાયું હતું. આ લોકદરબારમાં નામ ટ્રાન્સફર, નામમાં સ્પેલિંગ ભૂલ, સરનામામાં જરૃરી ફેરફાર જેવી અરજીનો સ્થળ પર નિકાલ કરાયો હતો, પરંતુ અન્ય ઘણા બધા પ્રશ્નનો ઉકેલ લાવી શકાયો નથી. તો, શહેરીજનો પણ પોતાની પ્રોપર્ટી ટેક્સને લગતી ફરિયાદોના ઉકેલ લાવવામાં ઉદાસીન વલણ દાખવી રહ્યા હોવાનું વાતાવરણ સામે આવ્યું હતું. પ્રોપર્ટી ટેકસને લગતી હજારો ફરિયાદોની સામે લોકદરબારમાં માત્ર ૧૪૭૨ અરજીઓ આવી હતી, તેમાં ૧૦૨૧ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો, જયારે ૪પ૧ અરજી પર કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા શહેરના નાગરિકોના હિતમાં અને પ્રોપર્ટી ટેકસને લગતી તેમની ફરિયાદો કે સમસ્યાઓના નિવારણ અર્થે આમ તો બે દિવસીય લોકદરબારનું આયોજન પ્રત્યેક નાણાકીય વર્ષના આરંભના સમયગાળામાં થતું આવ્યું છે. લોકદરબારના આયોજનથી તંત્ર કરદાતાઓના પ્રશ્નનો સ્થળ પર નિકાલ લાવવાનો પ્રયાસ કરે છે. સત્તાવાળાઓનો આ પ્રયાસ પ્રશંસનીય હોઇ તેનો વ્યાપ વધારીને વોર્ડ કક્ષાએ લઇ જવાની જરૃર છે. એક અંદાજ પ્રમાણે શહેરભરમાં પ્રોપર્ટી ટેક્સ સંબંધિત ૩૦ હજારથી વધારે વાંધાઅરજીનો નિકાલ કરાયો નથી. તેમ છતાં લોકદરબારમાં ૧પ૦૦ અરજીની પણ રજૂઆત થઇ નથી, જેનું મુખ્ય કારણ તંત્ર દ્વારા યોગ્ય પ્રચાર કરાયો ન હોવાનું છે.  તો, સાથે સાથે શહેરીજનો પણ પોતાની પ્રોપર્ટી ટેક્સને લગતી ફરિયાદો કેસમસ્યાઓના નિવારણમાંઉદાસીન હોવાનું વલણ સામે આવ્યું છે. પ્રોપર્ટી ટેક્સ સંબંધિત ફેરફાર ચેન્જને લગતા પ્રશ્ન કે કબજેદારને લગતા પ્રશ્નનો નિકાલ લોકદરબારથી લાવવો શકય બનવાનો નથી. ટેક્સ વિભાગનાં જાણકાર સૂત્રો કહે છે,

લોકદરબારમાં જે પ્રશ્નનું નિરાકરણ લવાશે તેનો તો સિવિક સેન્ટરમાં પણ અઠવાડિયામાં ત્રણ દિવસ ઉકેલ લવાય છે, પરંતુ મિલકતના માપનો વાંધો, ભોગવટાવાળી મિલકત, મિલકતના પ્રકાર કે તેના બાંધકામના વર્ષને લગતા વાંધાના નિકાલ માટે જે તે વોર્ડના ટેક્સ ઇસ્પેક્ટર દ્વારા સ્થળ તપાસ કરવી આવશ્યક બને છે. ઇન્સ્પેક્ટરના સ્થળ તપાસના રિપોર્ટના આધારે જ ડિવિઝનલ સુપરિન્ટેન્ડેન્ટ જે તે કરદાતાની અરજીનો નિકાલ કર્યા બાદ તેનો ઠરાવ નંબર પડે છે. ત્યારબાદ આ સુધારો કમ્પ્યૂટરમાં કરવામાં આવે છે. સામાન્ય દસ્તાવેજ આધારિત જે તે મિલકતમાં નામ ટ્રાન્સફર સિવિક સેન્ટર કે લોકદરબારમાં શકય બને છે, પરંતુ જે મિલકતમાં દસ્તાવેજ ન હોય તો એલોટમેન્ટ લેટર, પઝેશન લેટર, શેર સર્ટિફિકેટ વગેરે પુરાવાના આધારે ટેક્સ ઇન્સ્પેક્ટર નામ ટ્રાન્સફરની સત્તા ધરાવે છે. કબજેદારના કિસ્સામાં સ્થળ તપાસ મહત્ત્વની બને છે. જો કે, હજુ પણ નાગરિકો લોકદરબારનો લાભ લેવામાં ઉદાસીન વલણ દાખવી રહ્યા છે તેમ જણાય છે.

(10:38 pm IST)