Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

રાજ્યમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ સરળતાથી મળશે :ગાંધીનગરમાં 24x7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત

હેલ્પલાઇન નંબર 1070 તથા 079-23251900 પર સંપર્ક સાધીને નાગરિકો જરૂરી વિગતો મેળવી શકશે

અમદાવાદ : કોરોના વાયરસને કારણે વડાપ્રધાન મોદીએ દેશના નાગરિકોને સુરક્ષિત રાખવા 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ગુજરાતમાં આ લોકડાઉનના દિવસો દરમિયાન રાજ્યના નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના સરળતાએ મળી રહે તેવું આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યુ છે

. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના દરેક નાગરિકો-પરિવારોને આવી જીવનજરૂરી ચીજવસ્તુઓ બેરોકટોક મળતી રહે તે માટે જિલ્લાના પુરવઠા તંત્રને સતત મોનિટરીંગ કરવા પ્રેરિત કર્યુ છે. આ અંગે અશ્વિનીકુમારે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં જીવન આવશ્યક ચીજવસ્તુઓ નાગરિકોને પર્યાપ્ત માત્રામાં અને સરળતાએ મળી રહે તે માટે સંપૂર્ણ તકેદારી અને મોનિટરીંગ માટે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SOEC ખાતે એક 24x7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ કંટ્રોલરૂમની હેલ્પલાઇન નંબર 1070 તથા 079-23251900 પર સંપર્ક સાધીને નાગરિકો જરૂરી વિગતો મેળવી શકે છે.  

  મુખ્યમંત્રીના આ દિશાનિર્દેશોને પગલે સચિવ અશ્વિનીકુમાર, સહકાર સચિવ મનિષ ભારદ્વાજ અને અન્ન નાગરિક પુરવઠા સચિવ મોહંમદ શાહિદે રાજ્યના બધા જ જિલ્લાના પુરવઠા અધિકારીઓ, જિલ્લા સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર સાથે ગાંધીનગરમાં વીડિયો કોન્ફરન્સ કરીને આવી સપ્લાય ચેઇન સુપેરે ચાલે તે માટે માઇક્રો પ્લાનીંગને આખરી ઓપ આપ્યો હતો

 રાજ્યમાં શાકભાજીની આવક અને ખપતની વિગતો આપતાં કહ્યું કે, ગુરૂવારે સવારે રાજ્યની શાકભાજી મંડળીઓ-માર્કેટમાં 59 હજાર કિવન્ટલ શાકભાજીની આવક રહી છે. 13655 કિવન્ટલ બટાટા, 4350 કિવન્ટલ ડુંગળી, 6900 કિવન્ટલ ટમેટા અને 34000 કિવન્ટલ લીલા શાકભાજી રાજ્યના નાગરિકોના વપરાશ માટે ઉપલબ્ધ થયેલા છે. સમગ્ર રાજ્યમાં 68 જેટલા શાકભાજી માર્કેટ કાર્યરત છે. તેમજ ચૈત્રી નવરાત્રિના આ પર્વ દરમિયાન ઉપવાસ-વ્રત રાખનારા લોકોને અગવડતા ન પડે તે માટે પુરતા ફળફળાદિ પણ બજારમાં ઉપલબ્ધ છે. રાજ્યમાં 610 કિવન્ટલ કેળાં, 970 કિવન્ટલ સફરજન અને 1100 કિવન્ટલ અન્ય ફળફળાદિ સહિત 2680 કિવન્ટલ ફળોની આવક માર્કેટમાં થાય છે.

 તેમણે માહિતી આપી કે, 6૦ લાખથી વધુ પરિવારોના ૩.રપ કરોડ જેટલા લોકોને એપ્રિલ-ર૦ર૦માં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો દ્વારા વિનામૂલ્યે અપાનારા ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠાની પણ સરળતાએ ઉપલબ્ધિનું માઇક્રો પ્લાનીંગ પુરવઠા વિભાગે કરી દીધું છે. રાજ્યમાં દૈનિક 55 લાખ લીટર પાઉચનું વિતરણ થઇ રહ્યું છે. તમામ જિલ્લામાં આ દુધ વિતરણ સુનિશ્ચિત કરવા તેમજ દૂધ વિતરણ કેન્દ્રો કાર્યરત રહે તે માટે જિલ્લા પુરવઠા તંત્રને તાકીદ કરવામાં આવી છે. દૂધ સપ્લાય ઉપરાંત જરૂર જણાય તો દૂધના ટ્રેટા પેક પાઉચ અને સ્કીમ્ડ મિલ્ક પાવડર પણ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

 તેમણે માહિતી આપી કે, રાજ્યમાં આ મહામારી સામે રક્ષણાત્મક રોગ નિયંત્રણ પગલાં આવશ્યક સેવાઓ અને જીવનજરૂરી ચીજવસ્તુ સપ્લાય સહિતની સમગ્ર કામગીરીના સુચારૂ સંચાલન માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કાર્યરત કરાયેલા કંટ્રોલરૂમમાં સંબંધિત વિભાગોના સંકલન-માર્ગદર્શન માટે પાણી પુરવઠા સચિવ ધનંજ્ય દ્વિવેદી અને આદિજાતિ વિકાસ સચિવ  અનુપમ આનંદને જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં આરોગ્ય વિભાગનો કંટ્રોલરૂમ છે. આ ઉપરાંત, અન્ન-નાગરિક પુરવઠો, પોલીસ, વાહન વ્યવહાર, બંદરો, સાયન્સ ટેકનોલોજી શહેરી વિકાસ, પંચાયત અને ઊદ્યોગ વિભાગના અધિકારીઓ પણ 24x7 કાર્યરત છે. આ વિભાગોના એક-એક નોડલ ઓફિસર્સની સંકલન માટે નિમણૂંક કરવામાં આવી છે

(10:02 pm IST)