Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

લોકડાઉનની વચ્ચે જમાલપુર, કાલુપુરના બજારમાં ભારે ભીડ

લોકોને ઘરની બહાર ન નિકળવાની સૂચના ન પળાઈ : પોલીસ કમિશનર આશિષય ભાટિયા કોર્પોરેશનના ટોચના ઘણા અધિકારીની સાથે બજારોની મુલાકાતે : હોલસેલ માર્કેટ ૮ કલાક ખુલશે

અમદાવાદ,તા.૨૬ : કોરોનાના સંક્રમણ અને તેના સંકજામાંથી લોકોને બચાવવાના ઉમદા આશય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત સહિત દેશભરમાં ૨૧ દિવસનું તા.૧૪મી એપ્રિલ સુધી જબરદસ્ત લોકડાઉન જાહેર કરાયું છે પરંતુ અમદાવાદ શહેર સહિત ગુજરાતભરના ઘણા વિસ્તારોમાં હજુ તેની જોઇએ તેવી અમલવારી જોવા મળતી નથી. ખાસ કરીને અમદાવાદના જમાલપુર, કાલુપુર સહિતના બજારોમાં લોકો દૂધ, શાકભાજી, અનાજ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ લેવા ખૂબ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. લોકોની ભીડ એટલી બધી જોવા મળી રહી છે કે જેને જોતાં કોરોના વાઇરસના સંક્રમણનો ખતરો ઘણો ગંભીર રીતે વધી જાય છે. લોકોની ભીડભાડને લઇ આજે ખુદ શહેર પોલીસ કમિશનર આશિષય ભાટિયાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે જમાલપુર, કાલુપર સહિતના માર્કેટની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો રૂરૂ તાગ મેળવ્યો હતો.

           બીજીબાજુ, લોકોની બિનજરૂરી ભીડ અને ટોળાશાહીને ટાળવા સત્તાવાળાઓ દ્વારા શાકભાજીનું હોલસેલ માર્કેટ સવારે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધી ખુલ્લું રાખવા નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રકારે શાકભાજીના ફેરિયાઓ માટે પણ સવારે અને સાંજનો સમય નક્કી કરવામાં આવ્યો છે. પીએમ મોદી દ્વારા ૨૧ દિવસના જાહેર કરાયેલા લોકડાઉનની ગુજરાતમાં સારી રીતે અમલવારી પણ થઇ રહી છે. જો કે, હજુ પણ લોકો દૂધ, શાકભાજી, દવા, કરિયાણું સહિતની આવશ્યક ચીજવસ્તુઓ લેવા માટે પોતપોતાના ઘરોની બહાર નીકળી રહ્યા હોવાની સ્થિતિ સામે આવી રહી છે.

           ખાસ કરીને શાકભાજી, કરિયાણાની દુકાનો, દૂધની ડેરી-પાર્લરો પર લોકોની ભીડભાડ અને ટોળા સ્પષ્ટપણે જામી રહ્યા છે ત્યારે તેને ખતમ કરવા અથવા તો ઓછા કરવા સરકાર, પોલીસ અને સમગ્ર તંત્ર માટે એક પડકારજનક બાબત બની છે ત્યારે સરકાર અને તંત્ર દ્વારા હજુ પણ લોકોને કોરોના વાયરસની અસરની ગંભીરતા સમજાવી લોકોને ઘરોની બહાર નહી નીકળવા સતત અપીલો કરાઇ રહી છે. પરંતુ લોકો તેની ધરાર અવગણના કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આજે લોકડાઉનના બીજા દિવસે ગઇકાલ કરતાં પણ લોકની ભારે ભીડ અને ચહલપહલ શહેરના રસ્તાઓ પર જોવા મળતી હતી.

           આજ પ્રકારના દ્રસ્શ્યો અમદાવાદ સિવાય વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર સહિતના શહેરોમાં જોવા મળ્યા હતા. કોરોના વાયરસની ગંભીરતા ધ્યાનમાં લીધા વિના લોકો હજુ પણ ઘરોમાંથી સહજતાથી બહાર નીકળી રહ્યા છે અને ભયંકર અજાગૃતિ દાખવી રહ્યા છે. એકબાજુ, સરકાર, તંત્ર અને પોલીસના અધિકારીઓ-કર્મચારીઓ લોકોને હાથ જોડી જોડીને વિનંતી કરી રહ્યા છે કે, ઇમરજન્સી સિવાય ઘરોમાંથી બહાર ના નીકળો પરંતુ લોકો હજુ પણ સરકાર કે તંત્રની અપીલને જોઇએ તેટલી ગંભીરતાથી લેતાં નથી અને તેથી સરકારક અને તંત્ર ભારે ચિંતિત બન્યુ છે.

           સરાકર અને તંત્રએ ફરી એકવાર જનતાને અપીલ કરી છે કે, તેઓ કોઇપણ સંજોગોમાં ઘરોની બહાર ના નીકળે. પોલીસ પણ નાગરિકોને ભારે સમજાવટથી ઘેર પાછા વાળી રહી છે પરંતુ લોકો જીવનજરૂરી ચીજવસ્તુ લેવાની લ્હાયમાં ઘરોના ઉઁબરા ઓળંગી રોડ પર આવી રહ્યા છે. તેથી સરકારે આગામી દિવસોમાં મામલે કડક કાર્યવાહી કરવી પડશે.

(8:41 pm IST)