Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

સસ્‍તા અનાજના ૧૭૦૦૦ દુકાનદારો, એના કર્મચારીઓ, યાર્ડના વેપારીઓ, સરકારી ગોડાઉનના મજૂરોને લોકડાઉનમાંથી મુકિત

રાજકોટ,તા.૨૬: રાજ્‍યના નાગરિક પુરવઠા વિભાગના સચિવ શ્રી મોહમ્‍મદ શાહિદ (આઇ.એ.એસ)એ તમામ કલેકટરો અને શહેર -જિલ્લા પોલીસ વડાઓ જોગ પરિપત્ર કરી નાગરિક પુરવઠાની કામગીરી સંદર્ભે લોકડાઉનમાંથી મુકિત અંગેની સુચના આપી છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, ૨૧ દિવસના લોકડાઉન પ્રક્રિયા દરમ્‍યાન અનાજ , કઠોળ, કરિયાણા વસ્‍તુઓ ડુંગળી, બટાકા, ટામેટા સહિતના શાકભાજી દુધ, બ્રેડ, રાંધણ, ગેસ, કેરોસીન, પેટ્રોલ-ડીઝલનો પુરવઠો વગેરે આવશ્‍યક ચીજવસ્‍તુઓ અને આ વસ્‍તુઓ રાખવાના/સાચવવાના કોલ્‍ડ સ્‍ટોરેજ/ ગોડાઉન લોકડાઉન પ્રકિયામાંથી મુકિત આપવામા આવેલ છે.

આ લોકડાઉન પ્રક્રિયા દરમ્‍યાન રાજ્‍યમાં ગ્રામ્‍ય તથા શહેરી વિસ્‍તારોમાં અનાજ, કઠોળ, કરિયાણા વસ્‍તુઓ ડુંગળી, બટાકા ટામેટા સહિતના શાકભાજી દૂધ બ્રેડ, રાંધણગેસ, કેરોસીન, પેટ્રોલ-ડીઝલ સહિતની આવશ્‍યક ચીજવસ્‍તુઓનો પુરવઠો અને તેની જાહેર વિતરણ વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે જોવાની સરકારની પ્રાથમિક જવાબદારી વધુમાં ફલોર મિલ, રાઇસ મિલ, દાળ મિલ વગેરેને પોતાની કામગીરી માટે ઘઉં, ચોખા અને દાળની જરૂરિયાત ઉભી થાય તો તેઓ ઘઉં, ચોખા માટે ભારતીય ખાદ્ય નિગમ (એફ.સી.આઇ) પાસેથી ખરીદી શકશે. તથા દાળ ‘ના ફેડ' પાસેથી મળેવવાનો રહેશે.

અન્‍ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા લોકોને સતત આવશ્‍યક ચીજવસ્‍તુઓનો પુરવઠા મળી રહે તે માટે ઉપયુકત ખાદ્ય ચીજવસ્‍તુઓના ઉત્‍પાદન, પરિવહન અને વેંચાણ સાથે સંકળાવેલા એકમો જેવા કે આ પ્રક્રિયા માટે જરૂરી જણાતા ઉત્‍પાદકો, ફલોર મિલ, રાઇસ મિલ અને દાળ મિલ, અનાજ દળવાની ઘંટીએ સરકારના/ ખાનગી ગોદામો, કોલ્‍ડ સ્‍ટોરેજ ખાતે કામ કરતા મજૂરો, ટ્રાન્‍સપોર્ટ, કોન્‍ટ્રાકટર, ડ્રાઇવર, દુકાનદારો તથા તેમના કર્મચારીઓ વિગેરે તમામ લોકોને લોકડાઉન પ્રક્રિયામાંથી બાકાત રાખવાના રહે છે.

રાજ્‍યના ફલોર મિલ, આટા મિલ અને દાળ મિલને જરૂરી ચીજવસ્‍તુ પુરી પાડતા સપ્‍લાયર્સ, ઉત્‍પાદકો અને માલ પહોંચાડનાર ટ્રક ટ્રાન્‍સપાર્ટરો/ ડ્રાઇવરો, રાજ્‍યની ૧૭૦૦૦ જેટલી વાજબી ભાવના દુકાનદારો તથા તેમને ત્‍યાં કામ કરતા તોલાટ, કોમ્‍પ્‍યુટર ઓપરેટર વિગેરે કર્મચારીઓ, એપીએમસી ેતેમજ અનાજ તેમજ કરિયાણાનો જથ્‍થાબંધ/ છુંટક વેપાર કરતા વેપારીઓ તેમજ તેમને ત્‍યાં કામ કરનાર મજુરો આ જથ્‍થો વહન કરનાર ટ્રક/ ટેમ્‍પો ટ્રાન્‍સપોર્ટરો/ ડ્રાયવર, કેરોસીન ટેન્‍કરો, ગેસ એજન્‍સી/ પેટ્રોલ -ડીઝલના ડીલીવર બોય તથા વાહનો વગેરે લોકડાઉનમાંથી મુકિત પાત્ર છે.

(૧) સંબંધિત જિલ્લાના ગ્રામ્‍ય તથા શહેરી વિસ્‍તારોમાં  આવશ્‍યક ચીજવસ્‍તુઓની સંગ્રહખોરી તથા કાળાબજા ન થાય, કૃત્રિમ ભાવ વધારો ન થાય તે માટે સમયસર તથા પૂરતા જથ્‍થામાં ઉપલબ્‍ધતા તેમજ જથ્‍થાબંધ તથા છુટક ભાવોનું દૈનિક રીતે મોનીટરીંગ કરવાનું રહેશે. (૨) અનાજ, કઠોળ, કરિયાણા વસ્‍તુઓ ડુંગળી, બટાકા, ટામેટા સહિતના શાકભાજી, દુધ, બ્રેડ, રાંધણ ગેસ, કેરોસીન, પેટ્રોલ-ડીઝલ સહિતની આવશ્‍યક ચીજ વસ્‍તુઓના પુરવઠો જળવાઇ રહે અને સ્‍થાનિકે કૃત્રિમ ભાવ વધારો કરી વેપારીઓ નફાખોરી ન કરે સ્‍થાનિકે આ આવશ્‍યક ચીજવસ્‍તુઓની દુકાનો ખુલ્લી રહે તે અંગેનું મોનીટરીંગ કરવાનું રહેશે. તેમ પરિપત્રમાં જણાવાયું છે.

(1:42 pm IST)