Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ખંભાતમાં પોલીસ જવાન પર પથ્થરમારો કરી હુમલો કરનાર 32 તોફાનીઓની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

ખંભાત: શહેરમાં ગઈકાલે સાંજના સુમારે પોલીસ પર પથ્થરમારો કરીને બે વાહનોની તોડફોડ તેમજ એસઓજીના પોલીસ જવાનને ઘેરી લઈને લોખંડની પાઈપ તેમજ લાકડાના ડંડાથી ઢોર માર મારવાના ગુનામાં પોલીસે ૩૨ તોફાનીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સાંજના સુમારે પોલીસને માહિતી મળી હતી કે, કેટલાક શખ્સો મીરા અલી દરગાહ પાછળ આવેલા ખાજાખીજી તળાવ પાસેના જંગલ જેવા વિસ્તારમાં મારક હથિયારો લઈને એકત્ર થયા છે અને હુમલો કરે તેવી શક્યતા છે જેને લઈને પોલીસની ટીમ તુરંત ત્યાં પહોંચી ગઈ હતી જ્યાં પોલીસને જોઈને નાશભાગ મચી જવા પામી હતી. ટોળાએ પથ્થરમારો કરતાં વીરભદ્રસિંહ, સંજયભાઈ, મોયુદ્દીનભાઈ, રફીકભાઈ, જયદિપસિંહ, હસમુખભાઈને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. નાશભાગમાં એસઓજીના નરસિંહભાઈ પોલીસ ટીમથી વિખુટા પડી ગયા હતા અને ટોળાના હાથમાં આવી જતાં લાકડાના ડંડા અને લોખંડની પાઈપથી ઢોર માર માર્યો હતો. નરસિંહભાઈએ માથે હેલ્મેટ પહેરી હોય તેમનો બચાવ થવા પામ્યો હતો. અધમુંઓ માર મારીને તોફાનીઓ જંગલ જેવા વિસ્તારમાં ભાગ્યા હતા.

(5:40 pm IST)