Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

શ્રીદેવીના નિધનથી દેશને બહુ મોટી ગંભીર ખોટ પડી : વિવેક

અમદાવાદના ૬૦૮મા જન્મદિનને લઇ ઉજવણી : અમ્યુકો-સુન્ની વકફ કમિટિ દ્વારા અમદાવાદના જન્મદિન નિમિતે સફર એ વિરાસત સહિતના ઘણા કાર્યક્રમો યોજાયા

અમદાવાદ,તા. ૨૬ : અમદાવાદ શહેરના ૬૦૮મા જન્મદિન નિમિતે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુન્ની વકફ કમીટી દ્વારા સફર-એ-વિરાસત સહિતના ભવ્યાતિભવ્ય ઉજવણી અને કાર્યક્રમો યોજાયા હતા. અમદાવાદની બર્થ ડેની ઉજવણી દરમ્યાન મેયર ગૌતમભાઇ શાહની સાથે બોલીવુડ સ્ટાર વિવેક ઓબેરોય ખાસ અહીંની મુલાકાતે આવ્યા હતા. વિવેક ઓબેરોયે અમદાવાદની જન્મદિનનની અમદાવાદીઓને દિલથી શુભેચ્છાઓ પાઠવી હતી. દરમ્યાન બોલીવુડ સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીના નિધન અંગે ભારે દિલસોજી વ્યકત કરતાં વિવેક ઓબેરોયે જણાવ્યું હતું કે, શ્રીદેવીજીના નિધનથી માત્ર બોલીવુડ જ નહી પરંતુ સમગ્ર દેશને બહુ મોટી ખોટ પડી છે. શ્રીદેવીજી એક એવા કલાકાર હતા, કે જેમનામાં કલા અને પરફોર્મન્સ અસાધારણ રીતે સમાયેલા હતા અને તેમનો કોઇ જોટો જડે તેમ નથી. તેમણે ઉમેર્યું હતું કે, શ્રીદેવીજી જેવા કલાકાર સદીમાં કયારેક જ થતા હોય છે. સુન્ની વકફ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે માણેકનાથ બુરજ, વિકટોરિયા ગાર્ડનથી સ્વચ્છતા અને હેરિટેજની થીમ પર રેલી કાઢવામાં આવી હતી અને ત્યાંથી જૂની જામા મસ્જિદ, ગણેશ મંદિર, સીદી સૈય્યદની જાળી, ભદ્રકાળી મંદિર અને એહમદશાહ બાદશાહના હુજરા સુધી રેલી યોજાઇ હતી. દરમ્યાન સુન્ની મુસ્લિમ વકફ કમીટીના પ્રમુખ રીઝવાન કાદરીએ જણાવ્યું હતું કે, યુનેસ્કો દ્વારા અમદાવાદ શહેરને હેરીટેજ સીટી ઘોષિત કર્યા બાદ આ શહેરની પ્રથમ બર્થ ડે છે અને તેથી હેરીટેજ થીમ પર પર તેની વિશેષ ઉજવણી કરાઇ છે. અમદાવાદનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો જ આપણો ગૌરવવંતો ઇતિહાસ છે, કે જેને લઇ પ્રત્યેક અમદાવાદીનું માથુ ગૌરવથી ઉંચુ થઇ જાય. આજની ઉજવણીમાં અનેક શાળાઓએ પણ ભાગ લીધો હતો. આજની ઉજવણી દરમ્યાન એહમદશાહ બાદશાહની જેમ બાળકને હાથી પર બેસાડવામાં આવ્યું હતું અને તેની પાછળ ૯ ઘોડાઓ પર નવરત્ન કાઢવામાં આવ્યા હતા. તો, સીદી સૈય્યદની જાળી ખાતે સીદી બાદશાહ દ્વારા ડાન્સનો કાર્યક્રમ યોજાયો હતો. આ જ પ્રકારે ભદ્રકાળી મંદિર પાસે મેવાડના લોકો દ્વારા ગરબાનોસુંદર કાર્યક્રમ રજૂ કરાયો હતો.

રેલીના અંતે એહમદશાહ બાદશાહના હુજરા પાસે ત્રણ બાય ત્રણ ફીટનું ૧૦૦ કિલોગ્રામની ત્રણ દરવાજાના આકારની કેક કાપવામાં આવી હતી અને અમદાવાદની અનોખી રીતે બર્થ ડે ઉજવણી કરાઇ હતી. બીજીબાજુ, અમદાવાદના વિશ્વવિખ્યાત જરદોશીના આર્ટીસ્ટ શાહીદ અંસારી દ્વારા જરદોશીને લગતુ આર્ટ એન્ડ ક્રાફ્ટ એકઝીબીશન યોજાયું હતું. સાથે સાથે બાળકો દ્વારા માનવસાંકળ રચી અમદાવાદને ૬૦૭ વર્ષ પૂર્ણ થયા હોઇ ૬૦૭ બનાવી જન્મદિનને જોરદાર રીતે વધાવવામાં આવ્યો હતો. આ રેલીમાં રાષ્ટ્રીય ધ્વજમાં સજ્જ થઇ બાળકોએ ભાગ લીધો હતો. શહેરની જુદી જુદી ૧૪ જેટલી શાળાઓના બાળકોએ અમદાવાદની ભવ્ય ઉજવણીને ચાર ચાંદ લગાવી દીધા હતા.

(7:32 pm IST)