Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

અહેમદ પટેલ કુશળ સંગઠક હતા

તેમના દુઃખદ નિધનથી જાહેર જીવન અને દેશના રાજકારણને મોટી ખોટ પડી છેઃ શોકાંજલી અર્પતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા

અમદાવાદ, તા.૨૫: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજય સભાના સાંસદ શ્રી અહેમદ પટેલના અવસાનથી માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ દેશના જાહેરજીવન અને રાષ્ટ્રીય રાજકારણમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી હોવાનું શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે શ્રી અહેમદ પટેલના અવસાન બદલ શોકાંજલી પાઠવતા શ્રી ચુડાસમાએ જણાવ્યું છે કે સ્વર્ગસ્થ શ્રી અહેમદ પટેલ કુશળ સંગઠક હતા અને રાષ્ટ્રીય જાહેરજીવનના અગ્રણી હતા તેઓએ માત્ર કોંગ્રેસને જ નહીં પરંતુ દેશના જાહેર જીવનમાં પોતાની આગવી કુશળતા દર્શાવી પોતાની આગવી સંગઠન શકિત દ્વારા એક વિશેષ પ્રતિભાનો દેશની જનતાને પરિચય કરાવ્યો હતો. આવા રાષ્ટ્રીય અગ્રણી અને કુશળ સંગઠક ના અવસાનથી દેશના જાહેર જીવનને અને રાષ્ટ્રીય રાજકારણ ને બહુ મોટી ખોટ પડી છે.

સ્વર્ગસ્થ શ્રી અહેમદ પટેલના અવસાનથી તેમના પરિવાર પર આવી પડેલી આફત અને આદ્યાતને સહન કરવાની પરમાત્મા પરિવારજનોને શકિત આપે તેવી અભ્યર્થના પણ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વ્યકત કરી છે.

(2:38 pm IST)