Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના હસ્તે કેવડિયામાં ૮૦મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદનો પ્રારંભ

વિમાની મથકે આચાર્ય દેવવ્રત, વિજયભાઇ રૂપાણી, પ્રદિપસિંહ જાડેજા દ્વારા સ્વાગત : પરિષદમાં સશકત લોકતંત્ર માટે વિધાયીકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકાનો આદર્શ સમન્વય

રાજકોટ તા. ૨૫ : કેવડીયા ખાતે યોજાઈ રહેલ ૮૦મી અખીલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદનુ ઉદ્ઘાટન કરવા આવી પહોંચેલા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીનુ વડોદરા વિમાની મથક ખાતે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત, પ્રોટોકોલ રાજયમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા એ ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ.

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી વડોદરા હવાઈ મથકેથી સીધા જ હવાઈ માર્ગે કેવડીયા જવા રવાના થયા હતા.

કેવડીયા હેલીપેડ ખાતે રાષ્ટ્રપતિશ્રીનુ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, રાજયસભાના ડેપ્યુટી ચેરમેન શ્રી હરિવંશ નારાયણ સિંઘ, અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આવકાર્યા હતા.

રાષ્ટ્રપતિશ્રીનુ ટેન્ટસિટી ખાતે આગમન થતા ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકયા નાયડુ, લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, રાજયસભાના ડેપ્યુટી ચેરમેન શ્રી હરિવંશ નારાયણ સિંહ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી એ સ્વાગત કર્યું હતુ.

૮૦મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદનો રાષ્ટ્રગાનથી શુભારંભ કરાયો હતો.

ટેન્ટસિટી પરિસરમા લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાની ઉપસ્થિતિમા વિવિધ રાજયોની વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, અને લોકસભાના સચિવાલયના ઉચ્ચઅધિકારીઓ સાથે સમૂહ તસ્વીર લેવાઈ હતી.

છોટાઉદેપુર જિલ્લાના સજુલી ગામના આદિવાસી કલા વૃંદના ત્રણ યુવાનો આદિવાસી વેશભૂષામાં સુસજ થઈ ટેન્ટ સિટીના દ્વારે ઢોલ વાદન દ્વારા મહેમાનોને આવકારી રહ્યા છે. ૧૨ સદસ્યોની આ મંડળી સાંસ્કૃતિક સંધ્યામાં આદિવાસી રાઠવા નૃત્ય પણ પ્રસ્તુત કરી રહી છે.

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકેયા નાયડુજીનુ ૧૦.૪૭ કલાકે ટેન્ટ સીટી ખાતે આગમન. લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી, ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષની ઉપસ્થિતિમાં ઉષ્માભર્યું સ્વાગત.

લોકસભા સચિવાલય પરિવાર દ્વારા પરિષદના પ્રારંભ પૂર્વ લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા સાથે ફોટો સેશન યોજવામાં આવ્યું જેમાં ગુજરાત વિધાનસભાના યજમાન અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ જોડાયાં. લોકસભાના મહાસચિવ સ્નેહલતા શ્રીવાસ્તવ સહિત ૨૨ સદસ્યોએ ફોટો દ્વારા પ્રસંગની સ્મૃતિ કાયમ કરી.

ગુજરાતના સંસદ સદયશ્રીઓ પણ પીઠાસિન અધિકારીઓની ૮૦મી વાર્ષિક પરિષદના ઉદઘાટન સત્રમાં જોડાયાં.

૧૯૨૧ થી શરૂ થયેલી આ પરિષદ પરંપરા હેઠળ અત્યાર સુધી ૧૦૦ વર્ષમાં ૮૦ પરિષદ યોજાઇ છે. આ પરિષદના સમય પત્રકની સાથે ૨૬મી નવેમ્બરે ઉજવાતા બંધારણ સ્વીકાર દિવસનો સુભગ સમન્વય એ પણ એક નોંધપાત્ર બાબત બની છે.

રાજયસભાના ઉપાધ્યક્ષ શ્રી હરિવંશ નારાયણ સિંઘ પણ ઉપસ્થિત. પરિષદના આયોજન સાથે પ્રવાસીઓને કોઇ મુશ્કેલી ના પડે એનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે અગાઉથી બૂકિંગ કરનારા પ્રવાસીઓને કોઇ પણ તકલીફ નહોતી પડી. સવારના ખુશનૂમા માહોલમાં પ્રવાસીઓ એકતા નર્સરી, મુખ્ય કેનાલ, એકતા મોલ, પ્રાણી સંગ્રહાલય સહિતના સ્થળોએ પ્રવાસીઓ ટહેલતા જોવા મળ્યા હતા.

(12:30 pm IST)