Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સુરતમાં અંગદાન :બ્રેઇનડેડ દેવચંદભાઈ રાણાના પરિવારે તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કર્યું

કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરતથી અમદાવાદ સુધીના 267 કિ.મીનો ગ્રીન કોરીડોર બનાવાયો

સુરતમાં રહેતા અને ડાયનેસ્ટીક ફેબ્રીકો નામની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા દેવચંદભાઈ જયરામભાઇ રાણા તા. 21 ઓક્ટોબરના રોજ 11:30 મોટરસાયકલ ઉપર જઈ રહ્યા હતા, ત્યારે શ્યામ સંગીની માર્કેટ પાસે, પુણા કુંભારિયા ખાડી પુલ ઉપર મોટરસાયકલ સ્લીપ થઇ જતા તેઓ નીચે પડી ગયા હતા અને માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી. તેમને તાત્કાલિક મહાવીર ટ્રોમા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી હતી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું સામે આવ્યું હતું.

રવિવાર, તા.24 ઓક્ટોબરના રોજ મહાવીર ટ્રોમા હોસ્પિટલના ડોક્ટરોએ દેવચંદભાઈને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી દેવચંદભાઈના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

ભાઠા ગામમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા દેવચંદભાઈના પત્ની પ્રવિણાબેને જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રો અને ન્યુઝ ચેનલોમાં અંગદાન અંગેના સમાચારો જોતા હોઈએ છીએ. આજે જયારે મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. દેવચંદભાઈનો પુત્ર નિલય IILC ઇન્સ્ટીટયુટમાં BACT માં, પુત્રી રીશા નવયુગ કોલેજમાં T.Y B.COM માં અભ્યાસ કરે છે.

SOTTO દ્વારા લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને જયારે બંને કિડની અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ને ફાળવવામાં આવી.

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અમદાવાદના રહેવાસી 54 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે. જયારે બંને કિડની ખરાબ થઇ ગઈ હોવાથી તેનું ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું નહોતું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું.

કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરતથી અમદાવાદ સુધીના 267 કિ.મીનો ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

(6:42 pm IST)