Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

‘તે એવા લોકો માટે મને છોડયો...' કહીને અમદાાવદમાં પૂર્વ પ્રેમીએ યુવતિ ઉપર તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને હૂમલો કરતા સનસનાટી

ઓફિસના સ્‍ટાફ સાથે ડીજે પાર્ટીમાં જવા નીકળેલ યુવતિ ઉપર હૂમલો કરનાર સામે ગુન્‍હો

અમદાવાદ: પ્રેમમાં ગુસ્સે થઈને હુમલા કરવાના બનાવો સતત વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં એક પૂર્વ પ્રેમીએ યુવતી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવાનો બનાવ બન્યો છે. યુવતી ઓફિસનાં મિત્રો સાથે ડીજે પાર્ટીમાં જઈ રહી હતી ત્યારે રસ્તામાં આંતરીને પાગલ પ્રેમીએ યુવતી અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો. ‘તે એવા લોકો માટે મને છોડ્યો...’ કહીને યુવતીના શરીરમાં છરીના 7 ઘા કર્યા હતા. વચ્ચે છોડવા પડેલા મિત્રને પણ પ્રેમીએ તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. આ મામલે નારણપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એલિસબ્રિજના દેવભુવન સોસાયટીમાં મૌલી વૈષ્ણવ (ઉમર 24 વર્ષ) તેના પરિવાર સાથે રહે છે. તેને સ્કૂલ સમયમાં અંકિત પ્રજાપતિ નામના મિત્ર સાથે પ્રેમ થયો હતો. જોકે, બાદમાં મૌલીને ખબર પડી હતી કે, અંકિતનો સ્વભાવ બહુ જ ગુસ્સાવાળો અને શંકાશીલ છે. તેથી તેણે અંકિત સાથે ત્રણ વર્ષ પહેલા જ સંબંધોનો અંત આણ્યો હતો. જેથી અંકિત વધુ ગુસ્સે ભરાયો હતો.

શનિવારના રોજ મૌલી પોતાના ઓફિસના સ્ટાફ સાથે ડીજે પાર્ટીમાં જવા નીકળી હતી. મૌલી સાથે તેના ઓફિસના મિત્રો હર્ષિલ શાહ અને કેતન વાઘેલા હતા. ત્યારે અંકિતે મૌલીનો પીછો કર્યો હતો. તેણે રિલાયન્સ શોપિંગ મોલ પાસે મૌલીને આંતરી હતી. ગાડી ઉભી રખાવીને અંકિતે મૌલી પર એકાએક સવાલોનો મારો ચલાવ્યો હતો કે, ‘આ છોકરાં કોણ છે? તારા બોયફ્રેન્ડ છે? તે આવાં છોકરાં માટે મને છોડી દીધો?’ ત્યારે બાદ તેણે ગાળો બોલીને મૌલીને છરીના ઘા માર્યા હતા.

આ જોઈ મૌલી સાથે રહેલ હર્ષિલ શાહ વચ્ચે પડ્યો હતો. જેથી અંકિતે તેના પર પણ હુમલો કર્યો હતો. અંકિતે બંને જણાને લોહીલુહાણ કરી દીધા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૌલીએ અંકિત વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:24 pm IST)