Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ગાંધીનગરના સરગાસણ હડમતીયા ખાનગી ફાર્મ હાઉસમાં થયેલી હત્યામાં બે આરોપીઓ ઝડપાયા

પોલીસે જયદીપસિંહ ગોહિલને મહારાષ્ટ્રમાંથી અને તરૂણસિંહ ઝાલાને અમદાવાદમાંથી ઝડપી પાડ્યો

ગાંધીનગરના સરગાસણ હડમતીયા ખાનગી ફાર્મ હાઉસમાં થયેલી હત્યામાં ફરાર આરોપી ઝડપાઈ ગયા છે. આ મામલે એલસીબીની ટીમને બાતમી મળી હતી. જેથી પોલીસે જયદીપસિંહ ગોહિલ નામના આરોપીને મહારાષ્ટ્રમાંથી અને તરૂણસિંહ ઝાલા નામના આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડ્યો હતો… 18 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરના સરગાસણ હડમતીયામાં મિત્રો એકઠા થયા હતા ત્યારે મિત્રો વચ્ચે તકરાર થતા ગોળી મારીને હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

18 સપ્ટેમ્બરે હડમતીયા ખાતે આવેલા પ્રવીણ માણીયાનાં સામ્રાજ્ય ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટીયોજાઈ હતી. જેમાં જયદીપસિંહ કનુભાઈ ગોહિલ, તરુણસિંહ અશોકસિંહ ઝાલા, જયરાજસિંહ દિગ્વિજયસિંહ રાણા, ભાવનગર જેસરનાં હરપાલસિંહ જશવંતસિંહ ગોહિલ, જનક અનકભાઈ વિછીયા, અમદાવાદનાં સંતોષ સોડાભાઈ ભરવાડ તેમજ મહેસાણા કડી તાલુકાના જોધપુર ગામના મોહિત અમૃતભાઈ રબારી આવ્યા હતા. ચર્ચા દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં જયદીપસિંહ અને તરુણસિંહે ભેગા મળી તલવાર અને ગોળી મારી પ્રવીણ માણીયાની હત્યા કરી નાખી હતી.

રેન્જ આઈજી અભય ચુડાસમા તેમજ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ હત્યારાઓને ઝડપી લેવા એલસીબી સહિતની ટીમ કામે લગાડી હતી. એલસીબી પીઆઈ એચ.પી. ઝાલાના માર્ગદર્શન હેઠળ આરોપીઓને શોધી રહેલી પીએસઆઇ એસ.પી જાડેજા અને પી.ડી વાઘેલાની ટીમે તરૂણસિંહ અશોકસિંહ ઝાલાને અમદાવાદથી ઝડપી લીધો હતો, જયારે જયદીપસિંહ લોનાવાલા ખાતે રીસોર્ટમાં સંતાયો હોવાની ખાતરી થતાં પોલીસે તેને પણ રિસોર્ટમાંથી ઝડપી લીધો હતો

(10:10 pm IST)