Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

અમે ગણેશ વિસર્જનમાં અેક સાથે આટલા બધા લોકોને ડુબતા ક્યારેય નથી જોયા, ટીમે અેક સિઝનમાં સૌથી વધુ લોકોને ડુબતા બચાવ્યાઃ અમદાવાદમાં આ વર્ષે ગણેશ વિસર્જનનું અત્‍યાર સુધીનું સૌથી ખરાબ વર્ષ ગણાવતી ફાયરબ્રિગેડની ટીમ

અમદાવાદઃ આ વર્ષ ગણેશ વિસર્જનનું અત્યાર સુધીનું સૌથી ખરાબ વર્ષ રહ્યું છે. ફાયર બ્રિગેડના માણસોના જણાવ્યા મુજબ 10 દિવસમાં કુલ 23 યુવાનોએ જીવ ગુમાવ્યા છે. તેમાં સૌથી વધુ જાનહાનિ કરાઈ કેનાલ પાસે થઈ છે જ્યાં પાણીનો ફ્લો ઘણો વધારે છે. યુવાનો ચિક્કાર દારૂ પીને મૂર્તિનું વિસર્જન કરવા આવે છે અને વોર્નિંગને ગણકારતા નથી. અહીં ભક્તોની ભીડ એટલી વધી જાય એ કે કોઈ ડૂબી જાય તો કોઈને ખબર પણ નથી પડતી. અમદાવાદ ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસના એડિશનલ સીએફઓ રાજેશ ભટ્ટે જણાવ્યું કે સોમવારે અમદાવાદની બહારના વિસ્તારમાં છ લોકો અને ગાંધીનગરમાં 11, કપડવંજમાં 5, નડિયાદમાં એક વ્યક્તિ ગણેશવિસર્જન દરમિયાન ડૂબી ગઈ હતી.

ગાંધીનગર ફાયર એન્ડ ઈમર્ન્સી સર્વિસિસ (GFES)ના ચીફ ફાયર ઑફિસર મહેશ મોડે જણાવ્યું, “મેં ગણેશ વિસર્જનમાં એક સાથે આટલા બધા લોકોને ડૂબતા ક્યારેય નથી જોયા. તેમની ટીમે એક સીઝનમાં સૌથી વધુ લોકોને ડૂબતા બચાવ્યા છે.” GFESએ 19 સપ્ટેમ્બરે એક ગૃપમાંથી 10માંથી 7 લોકોને ડૂબતા બચાવ્યા હતા. તેમણે જણાવ્યું કે સ્થાનિક સત્તાધીશોએ પોલીસની મદદ લઈને વિસર્જનના છેલ્લા દિવસે નદીના પટનો વિસ્તાર બેરિકેડ કરવાનું નક્કી કર્યું એટલે અન્ય કેટલાંય લોકોને ડૂબતા બચાવી શકાયા હતા નહિં તો મૃત્યુનો આંક હજુ પણ ઉપર જાત.

અગ્નિશામક દળના અધિકારીઓ જણાવે છે કે અવારનવાર વોર્નિંગ આપ્યા છતાંય અમદાવાદના અને ખાસ કરીને ચાંદલોડિયા, ચાંદખેડા અને અન્ય વિસ્તારના ભક્તો કરાઈ નજીક ગોબલેશ્વર મહાદેવ મંદિરે નશામાં ધૂત થઈને મૂર્તિ વિસર્જન માટે આવે છે. આઠ તરવૈયાઓની ટીમ આ સ્થળે તૈનાત હોવા છતાંય 11 લોકોના મોત થયા હતા કારણ કે કોઈ ગુમ થઈ જાય તો આટલા બધા લોકોમાં કોઈને ધ્યાન પણ નથી રહેતું. તેમનો મૃતદેહ બીજા દિવસે તરવૈયાઓને હાથ લાગે છે.

શહેર વિસ્તારમાં વિસર્જન દરમિયાન કોઈ મોત ન થયુ હોવાથી ફાયરબ્રિગેડના માણસોએ રાહતનો શ્વાસ લીધો હતો. રિવરફ્રન્ટને કારણે લોકોને પાણીમાં પડતા બચાવી શકાયા હતા. રિવરફ્રન્ટમાં આવો પ્રતિબંધ હોવાને કારણે કેટલાંક લોકો ગાંધીનગર ગણેશજીનું વિસર્જન કરવા પહોંચ્યા હતા જેને કારણે મૃત્યુનો આંક આટલો ઊંચો ગયો હતો.

(4:55 pm IST)