Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ગુજરાતના ખલી કહેવાતા રવિ પ્રજાપતિ તેમના પરિવાર સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાયા : ઇસુદાન ગઢવી

દિવસે-દિવસે ગુજરાતમાં ‘આપ'નું વર્ચસ્‍વ વધી રહ્યું છે : ઇમાનદાર લોકો માટે આમ આદમી પાર્ટીના દરવાજા હંમેશા ખુલ્લા છે : ગુજરાતમાં ભાજપનો સમય હવે પૂરો થઇ ગયો છે : ‘આપ'ના નેશનલ જોઇન્‍ટ જનરલ સેક્રેટરી

રાજકોટ તા. ૨૫ : આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્‍ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવીની ઉપસ્‍થિતિમાં એક મહત્‍વની માહિતી આપતા જણાવ્‍યું કે, આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ ની લોકકલ્‍યાણ માટે ની મહેનત અને ધગશ જોઈને ગુજરાતના દરેક લોકો પ્રભાવિત થઇ રહ્યા છે, એટલે જ આજે દરેક વ્‍યક્‍તિ આમ આદમી પાર્ટીમાં જોડાવા માંગે છે. આજે લોક કલ્‍યાણમાં પોતાનું યોગદાન આપવા ગુજરાતના નામચીન પ્રથમ પ્રોફેશનલ રેસલર રવિ પ્રજાપતિ તેમના પરિવાર સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

ઈસુદાન ગઢવીએ કહ્યું કે, રવિ પ્રજાપતિ ગુજરાતનું ગૌરવ વધારતા પોતાના પરિશ્રમના બળે ગુજરાત રાજયના પ્રથમ પ્રોફેશનલ રેસલર છે. તે પ્રોફશનલ રેસલરની પ્રતિયોગિતામાં ૩ વખત વિજય પ્રાપ્ત કરી ચૂક્‍યા છે. તેમના અદભુત પરાક્રમ ના કારણે લોકો તેમને ગુજરાતના ખલી તરીકે ઓળખે છે. રવિ પ્રજાપતિ પોતાના રેસલિંગ કરિયર માં અમેરિકા, કેનેડા અને પાકિસ્‍તાનના નામચીન રેસલરોને હરાવી ચુક્‍યા છે. આમ આદમી પાર્ટીને આવા ઈમાનદાર અને મહેનતી વ્‍યક્‍તિઓ સાથે જોડાવાનો આનંદ છે. રવિ પ્રજાપતિ જે ફક્‍ત રાજય નું જ નહિ પણ દેશનું ગૌરવ છે તેમણે તેમના પરિવાર સાથે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો જે નિર્ણય કર્યો છે તે માટે આમ આદમી પાર્ટી તેમના નિર્ણયની સરાહના કરે છે.ᅠ

ઈસુદાન ગઢવી એ સન્‍માનપૂર્વક રવિ પ્રજાપતિને તેમના પરિવાર સાથે ટોપી અને ખેસ પહેરાવી આમ આદમી પાર્ટીમાં સ્‍વાગત કર્યું.ᅠ

આમ આદમી પાર્ટીએ કટ્ટર દેશ ભક્‍ત અને ઈમાનદાર લોકોની પાર્ટી છે. રવિ પ્રજાપતિ જેવા વ્‍યક્‍તિ જેમને હંમેશા દેશનું માથું ઊંચું કરવા મહેનત કરી હોય એવા વ્‍યક્‍તિ સાથે કામ કરવાની તક મળી એનો આમ આદમી પાર્ટીને આનંદ છે. હવે સૌ કોઈ જાણે છે કે ગુજરાતની જનતા ભ્રષ્ટ ભાજપના કારનામોથી કંટાળી ગઈ છે. પણ આમ આદમી પાર્ટી એવી પાર્ટી છે જે કરેલા દરેક વાયદા પૂરા કરી બતાવે છે અને હંમેશા જનહિત માટે પગલાં ભરે છે. એટલે જ ગુજરાતની જનતા આ આદમી પાર્ટીની વિચારધારા થી વધુ પ્રભાવિત થઇ રહી છે. જે કોઈ વ્‍યક્‍તિ ઈમાનદારી અને નિષ્ઠાથી ગુજરાતની જનતા માટે કાર્ય કરવા ઇચ્‍છતું હોય તેવા ઈમાનદાર લોકો માટે આમ આદમી પાર્ટીના દરવાજા હંમેશા ખુલ્લા છે. દેશથી પ્રેમ કરવા વાળું દરેક વ્‍યક્‍તિ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.

ગુજરાતમાં ભાજપનો સમય હવે પૂરો થઇ ગયો છે. ભાજપ હવે ગુજરાતની જનતાને લૂંટવાની આશા છોડી દે. ગુજરાતની જનતા તરફથી મળવા વાળો સહયોગ આમ આદમી પાર્ટીને આવનારી ચૂંટણીમાં અવશ્‍ય વિજય આપશે.

(12:07 pm IST)