Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

રૂપિયા લઈ ટિકિટ ન આપવી એ પણ ભ્રષ્ટાચાર છે : કોર્ટ

એસટી કન્ડક્ટરે મુસાફરને ટિકિટ ન આપતા ફસાયા : કન્ડક્ટરની સજા ઈન્ડસ્ટ્રિયલ ટ્રિબ્યુનલે રદ કરી હતી પણ હાઈકોર્ટમાં તેને પડકારતા સજાને યથાવત રાખાઈં

અમદાવાદ,તા.૨૫ : ગુજરાત સ્ટેટ રોટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસના કન્ડક્ટરને રૂ. ૬ ની કટકી કરવી ખૂબ ભારે પડી રહી છે. પેસેન્જર પાસેથી રૂપિયા લઈને ટિકિટ ન આપવા બાબત રંગે હાથ પકડાયેલા કન્ડક્ટરને સજા સ્વરૂપે વિભાગ દ્વારા કાયમી ધોરણે ૬ મહિના માટે તેમનો પગાર વધારો અટકાવી દેવામાં આવ્યો હતો. જેના વિરૂદ્ધમાં કન્ડક્ટરે ૧૮ વર્ષ સુધી કાયદાકીય લડત લડી જોકે ગુજરાત હાઈકોર્ટે આપેલા તાજેતરના ચુકાદાથી તેમની આ લડત પાણીમાં વહી ગઈ છે.

ગુજરાત હાઈકોર્ટે ટ્રિબ્યુનલના આદેશને રદ કરતા કહ્યું કે મુસાફર પાસેથી રૂપિયા લેવા પરંતુ ટિકિટ ન આપવી તે કોઈ ગેરજવાબદારીનું કૃત્ય નહીં પરંતુ ભ્રષ્ટાચારનું કાર્ય છે. કન્ડક્ટર રમેશભાઈ કંડોરિયા કે જેઓ જામનગર કાલાવડ ધોરાજી રૂટ પરની બસમાં ફરજ બજાવતા હતા. ૫ ઓગસ્ટ ૨૦૦૩ના દિવસે ફરજ દરમિયાન ચેકિંગમાં મળી આવ્યું કે તેમણે એક પેસેન્જર પાસેથી રૂ.૬ લીધા હતા જોકે તેને ટિકિટ આપી નહોતી. તેમના વિરૂદ્ધ ઇક્ન્વાયરી બેઠી હતી.

જેમાં કન્ડક્ટરે ગુનો કર્યો હોવાનું પુરવાર થતા વિભાગે તેમને સજા રૂપે કાયમી ધોરણે ૬ મહિના માટે તેમનો પગાર વધારો અટકાવી દીધો હતો. એસટી વિભાગના આ નિર્ણય સામે કંડોરિયાએ ઇન્ડસ્ટ્રિયલ ટિબ્યુનલમાં ફરિયાદ કરી હતી. જોકે તેમણે ઇક્ન્વાયરીના પરિણામ સામે કોઈ પ્રશ્ન ઉઠાવ્યો નહોતો. જે બાદ ટ્રિબ્યુનલે વર્ષ ૨૦૧૪માં પોતાનો ચુકાદો આપતા વિભાગ દ્વારા કંડોરિયાને કરવામાં આવેલી સજાને રદ કરી હતી અને આદેશ આપ્યો હતો કે વિભાગે તેમના અત્યાર સુધીના બાકી નિકળતા નાણાં ચૂકવી દેવા.

તેમજ મળવાપત્ર દરેક લાભ ચૂકવવા માટે આદેશ કર્યો હતો. આ ઉપરાંત ટ્રિબ્યુનલે તેમના વિરૂધ્ધ કરવામાં આવેલી ઈક્ન્વાયરીને પણ રદ કરી હતી. ટ્રિબ્યુનલના આદેશ બાદ રાજકોટ ડિવિઝનલ મેનેજરે હાઈકોર્ટમાં ટ્રિબ્યુનલના ચુકાદાને પડકાર્યો હતો. વિભાગે હાઈકોર્ટમાં કહ્યું કે ટ્રિબ્યુનલે સજા રદ કરવા સાથે ઇક્ન્વાયરીને પણ રદ કરી હતી જ્યારે કન્ડક્ટરે પોતાની અરજીમાં ઈક્ન્વાયરી અને તેના નિષ્કર્ષ અંગે કોઈ બચાવ અરજી કરી નહોતી.

આ ઉપરાંત વિભાગે હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટનું એક ઓબ્ઝર્વેશન પણ રજૂ કર્યું હતું જેમાં સર્વોચ્ચ કોર્ટે કહ્યું હતું કે ટ્રિબ્યુનલ ગોલ્ડન સ્કેલના આધારે ફરજ પર બેદરકારી બદલ કરવામાં આવેલી પેનલ્ટીને ઓછી કરી શકે નહીં. જ્યારે ઇક્ન્વાયરી કાયદેસર હોય ત્યારે તેની સજા મામલે ટ્રિબ્યુનલ દખલગીરી કરી શકે નહીં.

(9:04 pm IST)