Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

બારડોલીના વાઘેચામાં તાપી નદીમાં ન્હાવા પડેલ સુરતના સાત યુવાનો પૈકી એકનો પાણીમાં ગરકાવ

બારડોલી:તાલુકાના વાઘેચા ગામે વાઘેશ્વર મહાદેવ મંદિરની પાછળ તાપી નદીના પાણીમાં ન્હાવા માટે ઉતરેલા સુરતના ૭ યુવાનોમાંથી એક યુવાન ડૂબી ગયો હતો. પોલીસે સ્થાનિક તરવૈયાની મદદથી યુવાનની લાશ બહાર કાઢી હતી.

સુરતના ગોડાદરા નહેર મહારાણા ચોક ખાતે આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં સૌરભ રાજકુમાર શાહ (ઉ.વ.૧૯) ભાઇ ગૌરવ શાહ સહિત પરિવાર સાથે રહેતો હતો અને અભ્યાસ કરતો હતો. સૌરભ શાહ આજે રવિવારે ભાઇ ગૌરવ તથા અન્ય મિત્રો રાકેશ કલાલ, આદર્શ યાદવ, અંકુશ શાહ, બંટી શાહુ, ઉદીત ગુપ્તા સાથે પીયાગો ટેમ્પો લઇને બારડોલી તાલુકાના વાઘેચા ગામે તાપી નદી કિનારે વાઘેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે આવેલા હતા. દર્શન કરીને તમામ સાત મિત્રો તાપી નદીના પાણીમાં  ન્હાવા માટે ઉતર્યા હતા.

નદીના પાણીમાં સૌરભ શાહ અકસ્માતે ઉંડા પાણીના મુખ્ય પ્રવાહમાં તણાઇને ગોઝારા ખાડામાં ડૂબી ગયો હતો. સૌરભને તરતા આવડતું ન હતું. રવિવારે બંદોબસ્તમાં તૈનાત પોલીસને જાણ થતાં સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ કરતા સૌરભ શાહની લાશ ઉંડા પાણીમાંથી શોધી કાઢતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:25 pm IST)