Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

અમદાવાદ સિવિલની સ્થિતિ જોઇ એડમિટ થતા ડરે છે કોરોના દર્દીઓ

મોડી સારવાર મળતા થાય છે મોત

અમદાવાદ, તા. ૨૫ : કોરોનાની મહામારી અને સિવિલ હોસ્પિટલની ખરાબ હાલતથી લોકોમાં ડર પેદા થઈ ગયો છે. આ કારણે તેઓ હોસ્પિટલમાં એડમિટ થવાથી દૂર ભાગે છે અને જ્યારે સ્થિતિ વધારે ખરાબ થાય છે ત્યારે તેમને એડમિટ થવું પડે છે. પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ જાય છે અને તેઓ કોરોનાથી મોતને ભેટે છે.

આવા જ ત્રણ મૃતકોના પરિવાર છે, જેઓ હોસ્પિટલમાં જવા તૈયાર નહોતા અને આખરે કોરોના વાયરસથી તેમનું મોત થઈ ગયું.  પહેલા કેસમાં વસ્ત્રાલયના ૫૫ વર્ષના આધેડ હતાં, જેમને ૧૦ દિવસથી શરદી, ખાસી અને તાવ હતો. હાઈપરટેન્શનથી પીડિતા આ વ્યક્તિએ સ્થાનિક ડોક્ટરને બતાવીને ગુરુવાર સુધી તેની પાસેથી દવા લીધી અને બાદમાં તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી આવવા લાગી.

ગુરુવારે રાત્રે તેમની સ્થિતિ ખરાબ થતા પરિવારે ૧૦૮ને ફોન કરીને બોલાવી. જે બાદ તેમને શારદાબેન હોસ્પિટલમાં લઈ જવાયા. પરંતુ ત્યાં પહોંચતા ડૉક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા હતાં. મૃતકના સંબંધીએ કહ્યું, પરિવાર અને સંબંધીઓના સમજાવવા છતાં પણ તેઓ અસારવા સિવિલ કેમ્પસમાં બનેલી નવી કોવિડ-૧૯  હોસ્પિટલમાં નહોતા જવા ઇચ્છતા. અસારવામાં જ ૪૫ વર્ષનો એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતો હતો અને તેને ૧૫ દિવસથી સૂકા કફની સમસ્યા હતી. આ બાદ તેણે સ્થાનિક ડોક્ટરને બતાવ્યું. પરિવારના સભ્યએ કહ્યું, તે નવી તૈયાર કરાયેલી કોવિડ-૧૯ હોસ્પિટલમાં જવા તૈયાર નહોતા. તેને ડર હતો કે ત્યાં કોરોનાનું સંક્રમણ લાગી જશે. કોવિડ-૧૯ હોસ્પિટલમાં વધી રહેલા મોતની સંખ્યાથી વધારે ડર પેદા થયો હતો. આ વ્યક્તિને પણ સ્થિતિ ગંભીર થતા અસારવા સિવિલમાં એડમિટ કરાયો હતો. અને ગુરુવારે સવારે તેનું મોત થઈ ગયું.

ત્રીજા કેસમાં ઓઢવમાં રહેતા ૫૪ વર્ષના મહિલાનું પણ અઠવાડિયા પહેલા જ કોરોનાથી મોત થયું. તેમના સંબંધીએ કહ્યું, તેમને પણ સિવિલમાં કોરોના વાયરસથી મરતા લોકોના વોર્ડમાં એડમિટ થવાનો ડર હતો. મૃતક મહિલાના ભાઈ કહે છે, મારી બહેનને અઠવાડિયાથી સૂકો કફ હતો અને તેમને સિવિલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં બે દિવસની સારવાર બાદ તેમનું મોત થઈ ગયું.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા સિવિલમાં બનેલી નવી કોવિડ-૧૯ હોસ્પિટલમાં દર્દીની સારવારમાં બેદરકારીનો કેટલાક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. જેમાં દર્દીઓએ જ વિડીયો બનાવીને હોસ્પિટલની પોલ નાખી હતી. સિવિલની ખરાબ સ્થિતિ જોતાં હાઈકોર્ટે પણ સરકારને ફટકાર લગાવી હતી.

(2:56 pm IST)