Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

આંતરરાજય મુસાફરી કરીને આવેલાઓ ૧૪ દિ' હોમ-કોરોન્ટાઇન થઇ શકશે

પોતે જ પોતાનું ધ્યાન રાખવાનું, કંઇ લક્ષણ જણાય તો સરકારને જાણ કરવાની

ગાંધીનગર તા. રપઃ ઘરેલું વિમાની સેવા, ટ્રેન કે બસ દ્વારા આંતરરાજય મુસાફરી કરતા જે પ્રવાસીઓમાં કોરોનાના કોઇ જ લક્ષણો નહીં હોય તેવા પેસેન્જરો સીધા જ પોતાના ઘરે જઇ શકશે, પરંતુ આવા આંતરરાજય મુસાફરોએ ૧૪ દિવસ સુધી પોતાના લક્ષણોનું સ્વનિરીક્ષણ કરવું જરૂરી રહેશે. એ દરમિયાન જો કોરોનાના કોઇ લક્ષણો દેખાય તો તેમણે તાત્કાલિક જિલ્લા સર્વેલન્સ ઓફિસરને જાણ કરવાની રહેશે. અથવા તો રાજય કે રાષ્ટ્રની હેલ્પલાઇન ૧૦૪ કે ૧૦૭પ પર સંપર્ક કરવાનો રહેશે. ભારત સરકારના આરોગ્ય વિભાગે બહાર પાડેલી માર્ગદર્શિકાને ટાંકીને રાજયના આરોગ્ય અગ્રસચિવ ડો. શ્રીમતી જયંતી રવિએ આ અંગે જણાવ્યું હતું કે, કોઇ પેસેન્જર સિમ્પ્ટોમેટિક જણાશે તો તેમને તરત જ આઇસોલેટ કરીને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવશે અને તરત જ વધુ તપાસણી હાથ ધરવામાં આવશે.

 

જે પેસેન્જર્સને સામાન્ય અથવા તો ગંભીર સ્મ્પ્ટિમ્સ દેખાશે તેમને સઘન સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવશે. જે પેસેન્જરોને હળવા સિમ્પ્ટમ્સ જણાશે તો તેમને હોમ આઇસોલેશન અથવા તો કોવિડ કેર સેન્ટરમાં આઇસોલેશનનો વિકલ્પ આપવામાં આવશે. સરકારી કે ખાનગી કવોરેન્ટાઇન પછી ICMRના પ્રોટોકોલ મુજબ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આઇસોલેશનના સમયગાળા દરમિયાન આવા પેસેન્જરો જો પોઝિટિવ જણાશે તો તેમને કિલનિકલ પ્રોટોકોલ મુજબ કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવશે.

ડો. શ્રીમતી જયંતી રવિએ જણાવ્યું હતું કે, તમામ એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ ટર્મિનલ્સ ઉપર અને ફલાઇટમાં, ટ્રેનમાં અને બસમાં કોવિડ-૧૯ સંદર્ભે અને સાવચેતીનાં પગલાં માટે જરૂરી એનાઉન્સમેન્ટ સતત કરવામાં આવશે. તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ દરેક પેસેન્જર્સનું બોર્ડિંગ પહેલાં ફરજિયાત થર્મલ સ્ક્રિનિંગ કરવાનું રહેશે. એસિમ્પ્ટોમેટિક પેસેન્જર્સને જ માત્ર ફલાઇટસ, ટ્રેન કે બસમાં મુસાફરી કરવાની પરવાનગલી આપવામાં આવશે.

બોર્ડિંગ વખતે અને મુસાફરી દરમિયાન દરેક પેસેન્જરે માસ્ક પહેરવાનો રહેશે અને આરોગ્યના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. દરેક એરપોર્ટ, રેલ્વે સ્ટેશન કે બસ ટર્મિનસ પર સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન થાય તેની તકેદારી રાખવાની રહેશે. એરપોટ્ર્સ, રેલવે સ્ટેશન અને બસ ટર્મિનલને નિયમિત રીતે સેનિટાઇઝ કરવાના રહેશે. તથા જરૂરી સાબુ તથા સેનિટાઇઝરની વ્યવસ્થા કરવાની રહેશે. તમામ પેસેન્જરો માટે વિમાની મથક, રેલ્વે સ્ટેશન કે બસ ડેપોની બહાર નીકળતા સમયે થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા કરવાની રહેશે.

વિમાન, ટ્રેન કે બસ મારફતે આંતરરાજય પ્રવાસ કરતા મુસાફરો માટેની ખાસ માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, પ્રવાસીઓને જે તે એજન્સી દ્વારા યાત્રા ટિકીટની સાથે જ શું કરવું અને શું ન કરવું તે અંગેની વિગતો પુરી પાડવામાં આવશે. દરેક પેસેન્જરે આરોગ્ય સેતુ મોબાઇલ એપ ફરજિયાત પણે ડાઉનલોડ કરવાની રહેશે.

(1:37 pm IST)