Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ગુજરાત રાજ્યમાં લોકડાઉનના જાહેરનામા ભંગના ૨૯૯, ક્વોરેન્ટાઇન ભંગના ૧૪૭ ગુન્હાઃ પોલીસ વડા શિવાનંદ ઝા

ગાંધીનગર: ગુજરાતમાં હાલ કોરોનાને કારણે સર્વત્ર લોકડાઉનની સ્થિતિ છે. આવામાં ગુજરા પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કમર કસી રહી છે. ત્યારે રાજ્યમાં લોકડાઉનની સ્થિતિમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે પોલીસ વડા શિવાનંદ ઝાએ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં લોકડાઉન અમલીકરણ કડકાઈથી પણ કરવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ તમામ નાગરિકો પાસેથી અપેક્ષા રાખે છે કે જે સ્થળો આવશ્યક સ્થળો છે ત્યાં લોકોએ ભીડ ન કરવી જોઈએ.

નર્મદા સમિતિ ખંડ સ્વર્ણિમ સંકુલ-1 ખાતે પત્રકાર પરિષદને સંબોધનમાં તેમણે કહ્યું કે, જે લોકો બહાર નીકળે છે તેઓ ધ્યાન રાખે કે, ચીજવસ્તુઓ લેતી વખતે ચોક્કસ અંતર રાખવામાં આવે. દુકાનદારે તે નિશ્ચિત કરવું પડશે. યુવાનોને અપીલ છે કે ઘરે રહો સુરક્ષિત રહો...નો અમલ કરો. પોલીસ વિભાગને પણ સૂચના છે કે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે ખાસ કાળજી રાખે. નાગરિકોને પૂરેપૂરી સગવડ આપી છે.

પોલીસ વડાએ મીડિયા કર્મચારીઓ માટે કહ્યું હતું કે, મીડિયાના મિત્રો જે કોરોના લડાઈમાં ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છે તેઓને પૂરતી સગવડ આઇકાર્ડ બતાવીને આપવી. કોઈના લોકોને ખાસ કોઈ મુશ્કેલી આવે તો તેવા સંજોગોમાં તે સ્થાનિક પોલીસને આપવા વિનંતી છે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે તેઓએ કહ્યું કે, લોકોને પોલીસના નંબરો વેબસાઇટ ઉપરથી પણ મળી શકશે. 100 કે 112 નંબર પર નાગરિકો પોલીસને જાણ કરી શકે છે. લોકડાઉનના અમલીકરણમાં કોઈ સમસ્યા ઉભી ન થાય અને સમસ્યા આવે અને તેનું નિરાકરણ થાય તેવા પગલાં લેવામાં આવ્યા છે. ડીજી ઓફિસમાં બે એડિશનલ ડીજીપી કક્ષાના અધિકારી ઉપર રાખવામાં આવશે. તેમની નીચે સ્ટાફ પણ કાર્યરત રહેશે. 80થી 90 ટકા જેટલું લોકડાઉન સફળ થયું છે. તો કેટલીક જગ્યાઓએ ગુના દાખલ કરવા પડ્યા છે. જાહેરનામાનો ભંગ કરનારા 299 ગુના નોંધાયા છે. ક્વોરેન્ટાઈન ભંગના 147 ગુના નોંધાયા છે. સમગ્ર મામલામાં આરોપીની અટકની સંખ્યા 544 પર પહોચી છે. 

(4:11 pm IST)