Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

લોકસભા ચૂંટણી માટે હજુ ભાજપના ૧૦ ઉમેદવારોની જાહેરાત માટે મનોમંથન

ગાંધીનગર : લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપે 26 માંથી 16 સીટ માટે ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે બાકીના 10 ઉમેદવારની જાહેરાતને લઈને વિલંબ જોવા મળી રહ્યો છે. ભાજપ આ મામલે મનોમંથન કરી રહ્યું છે. ત્યારે ઉત્તર ગુજરાતની રાજકીય સ્થિતિને લઇ વિચારણા ચાલી રહી છે. પાટણ, બનાસકાંઠા અને મહેસાણાનું કોકડું ઉકેલવા મથામણ ચાલી રહી છે. આ ત્રણેય લોકસભા બેઠક પર સાંસદો બદલાશે તેવી વકી છે. હાલ તો પાટણ અને બનાસકાંઠામાં સરકારના મંત્રીઓના નામ આગળ છે. તો બાકી રહેલી 10 બેઠકો પર ભાજપ હવે કોને કોને ટિકીટ આપશે તે હવે જોવાનું રહેશે. બાકીના 10માં પણ ‘નો રિપીટ’ કરતાં રિપીટ જ વધુ હશે તે એક સવાલ છે. 

- બનાસકાંઠા બેઠક પર પરબત પટેલ તેમજ શંકર ચૌધરી દાવેદાર છે.

- પાટણ બેઠક પર ભરતસિંહ ડાભી અને દિલીપ ઠાકોરના નામ છે.

- મહેસાણા બેઠક પર જીવાભાઇ પટેલ, ઋત્વિજ પટેલ તેમજ રજની પટેલને વચ્ચે ટિકીટ માટે ટાઈ છે

- અમદાવાદ પૂર્વ પરથી સી.કે.પટેલ અને અસિત વોરાના નામ છે

- પોરબંદર બેઠક પરથી રાદડિયા પરિવારમાંથી કોઇ એક સભ્યને ટિકીટ મળે તેવી શક્યતા છે

- જુનાગઢથી રાજેશ ચુડાસમાની ટિકીટ કપાઇ શકે છે, તો તેમની સાથે જી.પી.કાઠી અથવા ભગવાનજી કરગઠિયાને ટિકીટ મળે તેવી શક્યતા છે

- આણંદ બેઠકથી દિલીપ પટેલ, રામસિંહ પરમારની સાથે દીપક સાથીનું નામ પણ ચર્ચામાં છે

- પંચમહાલ બેઠક પરથી પ્રભાતસિંહ ચૌહાણ તેમજ સી.કે રાઉલજી અને તુષાર મહારાઉલનું નામ ચર્ચામાં છે

- છોટાઉદેપુર બેઠકથી રામસિંહ રાઠવા, જશુ રાઠવાનું નામ ચર્ચા છે

- સુરત બેઠક પરથી દર્શના જરદોશ અને મહેશ સવાણીનું નામ ચર્ચામાં છે

-જૂનાગઢ અને આણંદ બેઠક માટે ભાજપમાં અવઢવ

હાલ ભાજપ માટે સૌથી મોટી ચેલેન્જ જુનાગઢ અને આણંદની બેઠક માટે છે. ટિકીટ માટેની માગને લઈને ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે. જૂનાગઢમાં પૂર્વ સાંસદ દિનુબોઘા સોલંકીની ટિકીટ માટે માંગ છે, તો બીજી તરફ રાજેશ ચૂડાસમાને રિપીટ કરવા સામે વાંધો છે. દિનુબોઘા સોલંકીએ પરિવારમાંથી ટિકીટ આપવા માંગ કરી છે. તો આણંદ બેઠક પર સાંસદને રિપીટ કરવા મામલે અવઢવ છે. છેલ્લી ઘડીએ ભાજપ મોવડીઓ દ્વારા આ સીટ માટે નવુ નામ પણ સામે આવી શકે છે.

(5:00 pm IST)