Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

વિવિધ ક્ષેત્રના મહારથીઓ પોતાના ચાહક વર્ગને મતદાન કરવા પ્રેરે

લોકતંત્ર કા ભાગ્યવિધાતા, હોતા જાગરૂક મતદાનઃ મનસુખ માંડવિયાની અપીલ

રાજકોટ તા. રપઃ લોકસભાની આગામી ચૂંટણીમાં મતદાન કરવા લોકજાગૃતિ માટે કામ કરવા રમત-ગમત, કલા, આદ્યાત્મક, પત્રકારત્વ અને સાહિત્યજગતનાં શિરમોર ગુજરાતીઓ કે જેઓ પોતાના ટવીટર એકટીવ છે તેઓને ટવીટરના માધ્યમથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વિવિધ ક્ષેત્રોના મહારથીઓને અપીલ કરતા જણાવેલ છે કે તેઓ પોતાના ચાહક વર્ગમાં મતદાન અંગે જાગૃતિ નિર્માણ કરે.

આધ્યાત્મક ક્ષેત્ર બી.એ.પી.એસ. સંસ્થા, પૂજય ભાઇશ્રી દાદા ભગવાન સંસ્થા વગેરેને અરજ કરતા જણાવેલ છે કે આધ્યાત્મિક ક્ષેત્રે ઊંચાઇઓને હાંસલ કરી આપ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર રહ્યા છો, લોકશાહીના પવિત્ર મંદિર પાર્લામેન્ટની સામાન્ય ચુંટણી-ગુજરાતનું મતદાન તા. ર૩ એપ્રિલના રોજ યોજાનાર છે. દરેક ગુજરાતી દેશ માટે મતદાન કરે તે માટે પ્રેરણા પૂરી પાડશો તેવી મારી અરજ છે.

રમત ગમત ક્ષેત્રે પૂર્વ ક્રિકેટર અજય જાડેજા, ઇરફાન પઠાણ, પંકજ અડવાણી, અપર્ણા પોપટ, અંકિતા રૈના, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, હાર્દિક પંડયા, જસપ્રીત બુમ્રાહ, પાર્થિવ પટેલ અને જાણીતા ફીટનેશ ટ્રેનર સપના વ્યાસ પટેલ વગેરેને અપીલ કરી છે.

ગુજરાતી ગાયક કલાકારો એશ્વર્યા મજમુદાર, કિંજલ દવે, વિક્રમ ઠાકોર, સંગીતકાર સલીમ મર્ચન્ટ, શ્યામલ સૌમિલ, હિતેશ રેશમિયા, પંકજ ઉધાસ, ભૂમિ ત્રિવેદી, દર્શન રાવલ, પાર્થ ઓઝા વગેરેને પોતાના ચાહક વર્ગમાં મતદાન કરાવવા અપીલ કરી છે.

ફિલ્મ કલાકાર આરોહી પટેલ, મનોજ જોષી, મલ્હાર ઠાકર, અમીષા પટેલ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીમ ઉપરાંત અખબાર, ગુજરાતી ન્યૂઝ ચેનલ અને પત્રકારોને પણ અરજ કરી છે.

ગુજરાતના સાહિત્યકારો જય વસાવડા, અંકિત ત્રિવેદી, વગેરેને અપીલ કરતા જણાવેલ છે કે શબ્દોની આરાધનાથી વાચકવર્ગમાં આપે અનન્ય સ્થાન ઉભું કરેલ છે. આપનું લખાણ વાંચનાર-માણનાર ચાહક વર્ગને મજબૂત લોકશાહી નિર્માણ માટે લોકસભા સામાન્ય ચુંટણી-ર૦૧૯માં અચુક મતદાન કરવા જાગૃત અને પ્રોત્સાહિત કરશો તેવી અરજ છે.

(4:21 pm IST)