Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

વાંસિયા – પંચમહાલમાં ફૂલદોલોત્સવ પર્વે ભક્ત મહેરામણ શ્રી હરિના રંગે રંગાયો

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રીનો ૫૭ મો ભાગવતી મહાદીક્ષાત્સવ ઊજવાયો: શોભાયાત્રામાં હજ્જારો દર્શનાર્થીઓનું ઘોડાપૂર...અબીલ-ગુલાલની છોળોમાં ઉભરાયા દિવ્યાનંદના ફુવારા

અમદાવાદ: અસત્ય પર સત્યના વિજયની પ્રેરણા આપતા પવિત્ર તહેવાર ફૂલદોલોત્સવ – રંગોત્સવ રંગોનો તહેવાર છે. જેની ઉજવણી આસ્થાભેર અને ઉમંગભેર કરવામાં આવે છે. સાથે જ તે પ્રેમ અને એકતાનો તહેવાર પણ છે. રંગોત્સવ પર્વ આધ્યાત્મિક રીતે ભારે મહાત્મય ધરાવે છે. ફૂલદોલોત્સવના રંગ ખુશીના રંગ, પ્રેમના રંગ પણ કહી શકાય જે આપણા જીવનમાં ખુશો ભરી દે છે. મેઘધનુષી રૂપી વિવિધ રંગોની છોળો ઉડાડીને ઉત્સવપ્રિય સંતો-ભક્તો, આમ જનતા ઉજવણી કરે છે. મતભેદ – મનભેદ ભૂલીને હળીમળીને રહેવાનો સંકલ્પ કરે તે આ રંગોત્સવનો પર્પઝ છે.

શ્રી હરિ રસમય મૂર્તિ છે. તેમ આપનું જીવન પ્રભુ પ્રસન્નતાના રંગોથી રસમય બને તે રીતે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે.સાથે જ શ્રુતિમાં કહ્યું છે તદ્વત “रसो वै स:” રસ સ્વરૂપ શ્રી હરિને પંચામૃતથી અભિષેક, ગુલાલ, કેસૂડાં જળથી અભિષેક કાર્ય બાદ તે પ્રસાદીરૂપે સંતો-ભક્તો ઉપર છાંટવામાં આવે છે. રંગોનો તહેવાર એવા ફૂલદોલોત્સવની સાથે કેસૂડાં મિશ્રિત જળથી પણ રંગોત્સવની ઉજવણી કરવામાં આવે છે. રંગોત્સવની રોનક માણવા આબાલવૃદ્ધ સૌ મોજ મસ્તી સાથે રંગોત્સવ સેલિબ્રેશનમાં ગળાડૂબ થઇ જાય છે. અનેરા ઉલ્લાસ સહ થનગનાટ નિહાળવા મળે છે.

સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને અનેકવિધ ગામોમાં રંગોત્સવ કરીને સૌને દિવ્યાનંદઆપ્યો હતો. તેની સ્મૃતિમાં ગુણવંતી ગુજરાતના પૂર્વ દિશાએ આવેલા પંચમહાલ જીલ્લાના મુખ્ય મથક ગોધરામાં આવેલા આદર્શ ગામ વાંસિયા. ત્યાં  ફૂલદોલોત્સવ – રંગોત્સવ પર્વે હજ્જારો ભક્તોનો મહેરામણ શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી અબજી બાપાશ્રી અને પંચમહાલના ન્યાલકરણ શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના અલૌકિક રંગે રંગાવા ઉલટ્યો હતો. જેમાં વિશ્વના એશિયા, આફ્રિકા, અમેરિકા, યુરોપ વગેરે ખંડોમાંથી હરિભક્તોએ અનેરો લ્હાવ માણ્યો હતો.

વિશાળ પરિસરમાં ગુલાલ,અબીલની સાથે ઢોલ – નગારા સાથે ભક્તિ ફાગ નૃત્ય, ગીત અને સંગીતનો પણ અનેરો રંગ નિહાળવા મળ્યો હતો.  ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ફૂલદોલોત્સવ – રંગોત્સવને એક વિશેષ આધ્યાત્મિક મહત્વ આપીને લાખો મુમુક્ષુઓને તેનું અનોખ આકર્ષણ જન્માવ્યું છે. આજે વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજના પાવન સાન્નિધ્યમાં પરમોલ્લાસભેરઊજવવામાં આવ્યો હતો, જેની ચમક- દમક જોવા મળી હતી.

વળી, આજે યોગાનુયોગ તારીખ પ્રમાણે આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો ૫૭ મો ભાગવતી મહાદીક્ષા જયંતી પરમ ઉમંગભેર સંતો-ભક્તોએ ઉજવી હતી. તે નિમિતે નગરયાત્રામાં માનવ મહેરામણ  છલકાયો હતો.

 

(12:12 pm IST)