Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

હિંમતનગર તાલુકાના વીરવાડામાં ચેકડેમમાં સગીરાની હત્યા કરીને લાશને પાણીમાં ડુબાડી દીધી

સાબરકાંઠા : હિંમતનગર તાલુકાના વીરાવાડામાં ગુરૂવાર બપોરે ચેકડેમમાં યુવતીની લાશ પાણીમાં તરતી દેખાતાં પોલીસે પાણીમાંથી લાશ બહાર કાઢતાં સગીરાની હત્યા કરીને લાશ પાણીમાં ડૂબાડી દીધી હોવાની આશંકા મજબૂત બની હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુરુવાર બપોરે વીરાવાડા ગામની પીટીસી કોલેજની નજીકમાં યુનીક પ્લોટીંગની પાછળના ભાગે આવેલ ચેકડેમના પાણીમાં સગીરાની લાશ તરતી દેખાતાં ગાંભોઇ પોલીસે તપાસ હાથ ધરી હતી અને એફએસએલ તથા ડોગ સ્કવોડની મદદ લેવાઇ હતી.

હવે માહિતી મળી છે કે વીરાવાડાના ચેકડેમેના પાણીમાંથી મળી આવેલી સગીરાની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. સગીરાના પેટના ભાગે સુતરની દોરી બાંધેલી હતી અને પાણીમાં લાશ નીચેથી મોટો પથ્થર પણ મળ્યો હતો.

ગાંભોઈ પોલીસે લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું  અને બી.જે. મેડિકલમાંથી મળી આવેલા રિપોર્ટમાં સગીરાનું ગળું દબાવી હત્યા કર્યાનું બહાર આવ્યું છે. પોલીસે અજાણી સગીરાની લાશની ઓળખ વિધિ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલામાં ગાંભોઈ પોલીસે અજાણી સગીરાની હત્યા કરી અજાણ્યા ઇસમોએ હત્યા કરી પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધ્યો છે.

(4:39 pm IST)