Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

રેડીયોજોકી અર્ચના જાનીના પૂર્વ પતિને ધરેલી હિંસાના કેસમાં નિર્દોષ જાહેર કરતા અમદાવાદની ચીફ મેટ્રોપોલીટન કોર્ટ

અમદાવાદ: મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા રેડિયો જોકી અર્ચના જાનીના પૂર્વ પતિ આરીફ ખાનને ઘરેલુ હિંસાના કેસમાં નિર્દોષ જાહેર કર્યો છે. ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ બી.બી.પટેલે અર્ચનાએ તેના પૂર્વ પતિ વિરુદ્ધ પુરાવા રજુ ન કર્યા હોવાને કારણે તેને નિર્દોષ જાહેર કર્યો. બન્ને પક્ષો ડિવોર્સ માટે તૈયાર થઈ ગયા અને સમજૂતી કરી હતી.

બન્ને પક્ષોએ ફેમિલી કોર્ટમાં કેસ ફાઈલ કર્યો હતો, પરંતુ બન્નેને ફરીથી એક કરવાના પ્રયાસો નિષ્ફળ ગયા પછી 23મી જાન્યુઆરીએ છૂટાછેડાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર, 2017ના રોજ RJ અર્ચનાએ ઘરેલુ હિંસાનો કેસ ફાઈલ કર્યો હતો.

છૂટાછેડા પછી અર્ચના પોતાના પૂર્વ પતિ વિરુદ્ધ પુરાવા રજુ નહોતી કરી શકી. આ સિવાય સામા પક્ષના વકીલની પૂછપરછમાં પણ હિંસાના કોઈ પુરાવા કોર્ટને નહોતા મળી શક્યા. ઉલ્લેખનીય છે કે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં RJ અર્ચનાએ પોતાના પતિ વિરુદ્ધ હિંસાની ફરિયાદ નોંધાવી હતી.

IPCની કલમ 498A, 323, 294B અને 506(1) અંતર્ગત આરીફ ખાન વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ખાનનો દાવો હતો કે તે પોતાની સાસરીમાં તેના ચાર વર્ષના દીકરાને મળવા ગયો હતો, જેની કસ્ટડી અત્યારે અર્ચના પાસે છે. આરીફ ખાન જણાવે છે કે, તેણે પણ સરખેજ પોલીસ સ્ટેશનમાં તેની પત્ની અને સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસે કોઈ પગલાં નહોતા લીધા.

આરીફ ખાનનો દાવો છે કે અર્ચના અને તેના પરિવારના આવા આરોપોને કારણે તેના માતા-પિતાએ શહેર છોડીને જવુ પડ્યું. ખાનનું કહેવું છે કે, મેં ખાલી મારા દીકરાને મળવા માટે તેને વિનંતી કરી હતી.

(6:10 pm IST)