Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

શિક્ષણ વિભાગમાં પ્રથમવાર વર્ગ-2 ની મોટાપાયે બદલી : 168 જેટલા શિક્ષણ નિરીક્ષક અને આચાર્યોની ટ્રાન્સફર

શિક્ષણ વિભાગના 168 અધિકારીઓની એકી સાથે બદલી કરી દેવાતા હડકંપ મચ્યો

અમદાવાદ :ગુજરાતમાં નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીમંડળની રચના બાદ IAS અને IPS અધિકારીઓની મોટા પાયે બદલી અને બઢતી કરવામાં આવી રહી હતી પણ  ગુજરાત શિક્ષણ વિભાગમાં  પ્રથમ વખત વર્ગ-2માં મોટાપાયે બદલીઓ કરવામાં આવી છે. ગુજરાત સરકારના પ્રવક્તા અને શિક્ષણ વિભાગ મંત્રી જીતુભાઈ  વાઘાણીના વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત શિક્ષણ વિભાગના 168 અધિકારીઓની એકી સાથે બદલી કરી દેવાતા હડકંપ મચ્યો છે. વર્ગ-2 ના શિક્ષણ નિરીક્ષક, આચાર્યોની બદલી કરવામા આવી છે. મહત્વનું છે કે શિક્ષણ વિભાગમાં પ્રથમ વખત વર્ગ-2 ની મોટાપાયે બદલી કરવામાં આવી છે આ પહેલા નવી ગુજરાત સરકારે શપથ લીધાના થોડા જ મહિનામાં વર્ગ 1ના અધિકારીઑની બદલી કરવામાં આવી હતી પણ શિક્ષણ વિભાગમાં હજુ સુધી આટલા મોટા પાયે બદલી કરવામાં આવી ન હતી.

આ પહેલા 10 જાન્યુઆરીના રોજ ગુજરાતના 6 IAS અધિકારીઓની બઢતી કરવામાં આવી હતી જ્યારે 3 IAS અધિકારીઓ બદલી કરી નાખવામાં આવી હતી. જેમાં IAS ડો અજય કુમાર- ડેપ્યૂટેશન, IAS શ્રી જેનું દેવાન- સુપ્રીટેન્ડન્ટ રેવન્યુ વિભાગ, IAS આલોક કુમાર પાંડે- કમિશનર શ્રમ અને રોજગાર વિભાગ, IAS રવિ કુમાર અરોરા- ડેપ્યૂટેશન યથાવત, IAS આર બી બારડ- ચેરમેન GPCB (સુધારેલ આદેશ મુજબ), IAS એમ ડી મોડિયા- OSD CMO બઢતી કરાઇ હતી જ્યારે IAS ડી જી પટેલ- કમિશનર સહકાર વિભાગ, IAS ડી પી દેસાઇ- Chief Executive Officer (AUDA), IAS એ બી ગોર-કલેકટર વડોદરા તરીકે બદલી કરાઇ હતી.

(11:55 pm IST)