Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

પાલનપુરમાં ડમ્પર શ્રમિકો પર ફરી વળતાં એકનું મોત

પાલનપુરમાં સુરત જેવી ગમખ્વાર ઘટના બની : પાલનપુરના માનસરોવરમાં આવેલા સિલ્વર બેઝ પાસેના પથિકાશ્રમની પાછળ શ્રમિકો સુતા હતા તે વેળા ઘટના બની

પાલનપુર, તા. ૨૫ : પાલનપુરમાં સુરત જેવા જ ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક ડમ્પરે ફૂટપાથ પર સૂતેલા ૪ મજૂરોને કચડ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘાયલ એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ શ્રમિકનો ઇજાઓ થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ડ્મ્પર ચાલકફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા સુરત જિલ્લામાં પણ એવી જ એક ઘટના બની હતી, જેમાં એડ ડમ્પરે ફૂટપાથ પર સૂતેલા શ્રમિકોને કચડ્યા હતા, જેમાં ૧૫ જેટલા શ્રમિકો મોતને ભેટ્યા હતા.

સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ પાલનપુરના માનસરોવર વિસ્તારમાં આવેલા સિલ્વર બેઝ નજીકના પથિકાશ્રમની પાછળ કેટલાક શ્રમિકો સુતા હતા. જે દરમિયાન એક પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે કાબૂ ગુમાવતા ડમ્પર શ્રમિકો પર ફરી વળ્યું હતું. જેમાં ૪ જેટલા શ્રમિકોને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે ઈજાગ્રસ્ત મજૂરોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ અને પોલીસને અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી.

મૃતક અને ઈજાગ્રસ્તોમાં મગનભાઈ બેગડીયા, ઉંમર- ૨૭ વર્ષ (મૃતક), રમેશભાઈ બેગડીયા, (ઉમર- ૧૮ વર્ષ), ઈજાગ્રસ્ત, સવજીભાઈ બેગડીયા, (ઉંમર- ૨૫ વર્ષ), ઈજાગ્રસ્ત, સુનિલ બેગડીયા, (ઉંમર- ૧૮ વર્ષ), ઈજાગ્રસ્તનો સમાવેશ થાય છે.

સુરતમાં કીમ-માંડવી રોડ પર આવેલા પાલોદગામ નજીક ફૂટપાથ પર નિંદર માણી રહેલા શ્રમજીવી પરિવાર માટે યમરાજ બનીને આવેલા ડમ્પરે ૨૦ લોકોને કચડી કચડ્યા હતા, જેમાંથી ૧૨ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ૮ને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાંથી વધુ ૩ લોકોના સારવાર દરમિયાન મોત થતાં કુલ મૃત્યુઆંક ૧૫ પર પહોંચ્યો હતો. આ ઘટનામાં ભોગ બનનાર વ્યક્તિઓ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના હતા. ઘટના અંગે પીએમ મોદી, સીએમ રૂપાણી અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે શોક વ્યક્ત કર્યો હતો અને ૬ લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી હતી.

(10:01 pm IST)