Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

અમદાવાદના જમાલપુર-ખાડિયા વિસ્તારમાં આચારસંહિતા ભંગઃ આમ આદમી પાર્ટીના પોસ્ટર હજુ સુધી ઉતાર્યા નથી

અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા બાદ રાજ્યમાં આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. અમદાવાદના જમાલપુર-ખાડિયા વિસ્તારમાં આચાર સંહિતાનો ભંગ થતો જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના પોસ્ટર જમાલપુર-ખાડિયા વિસ્તારમાં હજુ પણ ઉતારવામાં આવ્યા નથી.

રાયખડ, મદિના ચોકમાં આમ આદમી પાર્ટીના બેનર હજુ સુધી લાગેલા જ છે. તંત્ર દ્વારા આચાર સંહિતા લાગુ થયાના 2 દિવસ બાદ પણ રાજકીય બેનરો જોવા મળી રહ્યા છે. બેનરમાં, “આમ આદમી પાર્ટીના આ બેનરમાં એક મોકો આપને, પછી જુવો ગુજરાતને. મારો મત બદલાવ માટે, મારો મત આમ આદમી પાર્ટી માટે.” રાયખડ વિસ્તારમાં લાગેલા આમ આદમી પાર્ટીના બેનરમાં જમાલપુર વોર્ડના ઉજેરખાન પઠાણ અને આમ આદમી પાર્ટીના જમાલપુર વોર્ડના મહિલા મોરચાના ડૉ. મિનાઝ કાદરી જોવા મળી રહ્યા છે.

રાજયમાં ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં હોવાથી રાજય ચૂંટણી હેઠળના વિસ્તારોમાં મુખ્યમંત્રી તથા મંત્રીઓના હસ્તે થનારા ધ્વજવંદન અને ઉજવણીના કાર્યક્રમોને લઇને રાજય ચૂંટણી પંચે કેટલીક બાબતોનું પાલન કરાવવાની જિલ્લા ચૂંટણી અધિકારી સહિત અન્યોને સૂચના જારી કરી છે. તે મુજબ મુખ્યમંત્રી કે મંત્રી પોતાના વકતવ્યમાં સરકારની કામગીરી, પક્ષની કામગીરી કે ઉપલબ્ધિઓ તેમ જ સિધ્ધિઓ વગેરેનો સમાવેશ થવો જોઇશે નહીં. તેમનું વક્તવ્ય ગણતંત્ર દિનના ઐતિહાસિક મહત્વ અને દેશભક્તિ તેમ જ રાષ્ટ્રીય એકતાના વિષય પુરતું સિમિત રહેશે. આ ઉપરાંત તેમના વકતવ્યમાં સરકારી કાર્યક્રમો, સિધ્ધિઓ, જાહેરાતો કે ભવિષ્ય માટેના આયોજનો કે વચનોનો સમાવેશ ન થાય તે જોવાનું રહેશે.

રાજય ચૂંટણી આયોગના સચિવ મહેશ જોશીએ વધુમાં જણાવ્યું છે કે, ગણતંત્ર દિન કાર્યક્રમની આ ઉજવણીમાં કોઇ રાજકીય પક્ષના પ્રતિક, પદાધિકારીઓના ફોટોગ્રાફસ, ઉચ્ચારણો, સૂત્રો કે બેનર્સનો ( દ્રશ્ય, શ્રાવ્ય માધ્યમથી ) ઉપયોગ ન થાય તેની કાળજી લેવાની રહેશે. તેની સાથોસાથ જિલ્લા ચુંટણી અધિકારી/ સંબંધિત ચુંટણી અધિકારીએ સમગ્ર કાર્યક્રમની વીડીયોગ્રાફી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ છે કે, રાજયની 6 મહાનગપાલિકા, 31 જિલ્લા પંચાયત તથા 231 તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી તથા સ્વરાજયના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણીઓ યોજવાની 23 જાન્યુઆરીના રોજ જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતની સાથે જ રાજયના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં 23મીથી જ આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. જેથી રાજય ચૂંટણી આયોગ દ્રારા આદર્શ આચારસંહિતાનો અમલ થાય તે માટેના કેટલાંક માર્ગદર્શનો જારી કર્યા છે.

(5:53 pm IST)