Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

મેઘાણીનગર : ત્રણ શખ્સોએ યુવકને તલવારના ઘા ઝીંકયા

ઝઘડાની અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો : તૂં દાદા હો ગયા હૈ એમ કહી એક યુવક ઉપર તલવારના ઘા ઝીંકી હુમલો થતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ

અમદાવાદ, તા.૨૪ :  શહેરના મેઘાણીનગર વિસ્તારમાં તૂ દાદા હો ગયા હૈ, તૂને હમારી સાથ ગદ્દારી કી તેમ કહીને ત્રણ યુવકોએ એક યુવક પર તલવાર વડે હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. બે વર્ષ પહેલાં થયેલા ઝઘડાની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. બનાવને પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. સ્થાનિક પોલીસે બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મેઘાણીનગરમાં ચંદનનગરમાં રહેતા ૩૦ વર્ષીય ગજેન્દ્રસિંહ ભદોરિયા તા. રરનાં રોજ ગજેન્દ્રસિંહ ભાર્ગવરોડ પર બેઠો હતો ત્યારે રવિકાંત ઉર્ફે ચોર બઘેલ (રહે. આંબેડકરનગર, મેમ્કો બ્રિજ) તથા ઓમકિશોર ઉર્ફે રીંકુ પરિહાર (રહે. કુંભારજીની ચાલી, રામેશ્વર) તથા લલિયો ઉર્ફે ઇમરાન તેની પાસે આવ્યા હતાં. તૂ દાદા હો ગયા હૈ તૂને હમારી સાથે ગદ્દારી કી તેમ કહીને રવિએ ગજેન્દ્રને ગાળો આપી હતી. ગજેન્દ્રએ ગાળો બોલાવાની ના પાડતાં ત્રણેય જણા ઉશ્કેરાયા હતા અને આજ તો તુઝે ઝિંદા નહીં જાને દેગેં તેમ કહીને તલવારના ઘા મારવાના શરૂ કરી દીધા હતા. ત્રણેય જણાએ ઉપરાછાપરી તલવારના ઘા મારતાં ગજેન્દ્ર લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. જ્યારે ગજેન્દ્રએ પણ રવિને તલવારનો ઘા માર્યો હતો. બન્ને જણાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં હતાં. બીજીબાજુ, બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે મેઘાણીનગર પોલીસે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(7:49 pm IST)