Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળે સરદાર પટેલના માતા-પિતાની તસવીરો જોવા નહીં મળેઃ ેમની તસવીરો શોધવા માટેના પ્રયત્નોમાં પરિણામ શૂન્ય

વડોદરા: 31 ઓક્ટોબરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું પ્રધાનમંત્રી મોદી લોકાર્પણ કરશે તેની સાથે જ દેશના લોખંડી પુરુષની જીવનગાથા દર્શાવતા મ્યૂઝિયમનું પણ ઉદ્ઘાટન થશે. 5 વર્ષના અથાક પ્રયાસ પછી તૈયાર કરાયેલા આ મ્યૂઝિયમમાં સરદાર પટેલના જીવનના બે અગત્યના વ્યક્તિઓની તસવીરો જોવા નહીં મળે. આ બે વ્યક્તિઓ એટલે સરદારના પિતા ઝવેરભાઈ અને પત્ની ઝવેર બા. દેશના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાનના જીવનમાં સૌથી મહત્વનો ફાળો આપનારા ઝવેરભાઈ અને ઝવેર બાની તસવીરો શોધવા માટે રિસર્ચર્સ કેટલાય દાયકાથી પ્રયાસ કરી રહ્યા છે પણ પરિણામ શૂન્ય મળ્યું.

વર્ષોથી તસવીર શોધવા પ્રયાસ પણ…

તસવીરમાં ડાબેથી જમણી બાજુ: વિઠ્ઠલભાઈ પટેલ, સોમાભાઈ પટેલ, કાશીભાઈ પટેલ, નરસિંહભાઈ પટેલ અને સરદાર પટેલ તેમના માતા લાડબા (મધ્યમાં) સાથે. સરદાર પટેલના પરિવારની આ તસવીર 1927માં લેવાઈ હતી.

તમે ગૂગલમાં શોધશો તો તમને કસ્તૂર બા ગાંધી, કમલા નહેરુ કે એમીબાઈ અને રત્નાબાઈ જિન્ના જે ભારત-પાકિસ્તાનના આઝાદીના લડવૈયાઓની પત્ની છે તેમની તસવીરો મળી રહેશે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET)ના મુખ્ય મેનેજર સંજય જોષીએ કન્ફર્મ કર્યું કે, “2013થી અમે દેશની દરેક એજન્સીનો સંપર્ક કર્યો છે. દિલ્હીનું નહેરુ મેમોરિયલ, નેશનલ આર્કાઈવ્સ ઓફ ઈંડિયા, અમદાવાદ સ્થિત શાહીબાગ મેમોરિયલ, આણંદનું કરમસદ મેમોરિયલ અને બારડોલી આશ્રમમાં તપાસ કરી પરંતુ સરદારસાહેબના પિતા અને પત્નીની તસવીરો મેળવવમાં નિષ્ફળ રહ્યા.”

ઘણા બધા દસ્તાવેજો મળ્યા પણ તસવીરો ન મળી

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રોજેક્ટ માટે રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રચાયેલી SVPRETના મુખ્ય મેનેજર સંજય જોષીએ આગળ કહ્યું કે, “આણંદ અને ખેડામાં આવતા ગુજરાતી અખબારોમાં જાહેર જનતાને વિનંતી કરી હતી કે સરદાર પટેલ સાથે જોડાયેલી કોઈ વસ્તુ હોય તો તે અમને આપે જેથી મ્યૂઝિયમમાં મૂકી શકાય.” SVPRETએ પૂના, વર્ધા અને મુંબઈ સહિત દેશભરમાં ફરીને લગભગ 40,000 જેટલા દસ્તાવેજો, 2000 તસવીરો અને ફોટોકોપીઝ, સરદાર પટેલ પર લખાયેલા 250 પુસ્તકો એકઠા કર્યા પરંતુ ઝવેરભાઈ અને ઝવેર બાની તસવીરો ન મેળવી શક્યા.

લેખકે દાવો કર્યો પણ કદી પાછા ન આવ્યા

આ ટ્રસ્ટે તો સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રોજેક્ટ માટે તસવીરો મેળવવાની કોશિશ કરી પરંતુ રિસર્ચર્સ તો વર્ષોથી આ પ્રયાસમાં લાગેલા છે. આણંદના કરમસદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ અને વીર વિઠ્ઠલદાસ પટેલ મેમોરિયલના પૂર્વ વહીવટકર્તા રમેશ પ્રજાપતિએ કહ્યું કે, “2004માં એક લેખક આ મેમોરિયલમાં આવ્યા હતા અને દાવો કર્યો હતો કે તેમની પાસે ઝવેર બાની તસવીર છે. અમે તેમને તસવીરના બદલામાં 25,000 રૂપિયા ઈનામ પેટે આપવાની તૈયારી દર્શાવી હતી. જો કે એ વાતને આજે 14 વર્ષ વીતી ગયા, એ લેખક ફરી ક્યારેય અહીં આવ્યા જ નહીં.”

પરિવાર પાસે પણ નથી તસવીર

ઝવેર બાની તસવીર શોધવા માટે રમેશ પ્રજાપતિ ઘણી વખત આણંદની બહારના ભાગમાં આવેલા ગાણા (Gana) ગામની મુલાકાત પણ લઈ આવ્યા છે. રમેશભાઈએ કહ્યું કે, “ઝવેર બા આ ગામના હતા અને સરદાર પટેલનું મોસાળ પણ અહીં હતું. કરમસદમાં જેમ તેમના પરિવાર પાસે તસવીર નથી તેમ ગાણા ગામમાં રહેતા પરિવાર પાસે પણ ઝવેર બાની તસવીર નથી.”

કર્મનિષ્ઠ હતા વલ્લભભાઈ

1891માં સરદાર પટેલે ઝવેરબા સાથે લગ્ન કર્યા હતા અને 1904માં તેમની દીકરી મણિબેનનો જન્મ થયો. 1905માં પુત્ર ડાહ્યાભાઈનો જન્મ થયો. સરદાર પટેલે વકીલ તરીકે કારકીર્દિ શરૂ કરી હતી. જ્યારે સરદાર પટેલ 33 વર્ષના હતા ત્યારે ઓપરેશન બાદ ઝવેર બાનું નિધન થયું હતું. ઝવેરબાના નિધનના સમચાર આપતો ટેલિગ્રામ વલ્લભભાઈને મળ્યો ત્યારે કોર્ટમાં એક અરજીની સુનાવણી ચાલતી હતી. પોતાના કામ પ્રત્યે સરદાર એટલા સમર્પિત હતા કે ઝવેર બાના નિધનના સમાચાર વાંચ્યા અને કોર્ટમાં કેસની દલીલ ચાલુ રાખી. જો કે ઝવેર બાના નિધન બાદ સરદારે બીજા લગ્ન ન કર્યા. ઝવેર બાના નિધનના એક વર્ષ બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ જતા રહ્યા.

(5:20 pm IST)