Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

સુરતના ટેક્સટાઈસ વેપારીઓ સાથે 4 કરોડની ઠગાઇમાં આરોપીના જામીન અદાલતે નામંજૂર કર્યા

સુરત: શહેરના ટેક્સટાઈલ વેપારીઓ સાથે કુલ રૃ.4 કરોડથી વધુ રકમના ગ્રે કાપડના જથ્થો ખરીદીને માલ કે પેમેન્ટ નહીં આપીને દુકાનના શટર પાડી દઈ ઠગાઈનો કારસો રચવાના કેસમાં જેલભેગા કરેલા આરોપીએ ચાર્જશીટ બાદ સમન્યાયના સિધ્ધાંત હેઠળ કરેલી જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ અશ્વિનકુમાર શાહે નકારી કાઢી છે. વરાછા ગ્લોબલ માર્કેટમાં ભાડે દુકાન રાખી આરએનસી એન્ટરપ્રાઈઝના આરોપી સંચાલકો જનક છાટબાર,સ્મિત ચંદ્રકેતુ છાટબાર,અનસ ઈકબાલ મોતીયાણી,રવિ તથા અશ્વિન જેઠુભા ગોહીલ વગેરેએ એકબીજાના મેળા પિપણામાં ફરિયાદી તથા અન્ય વેપારીઓ પાસેથી કુલ રૃ.3.95 કરોડની કિંમતનો ગ્રે કાપડનો જથ્થો ખરીદ્યો હતો.જે માલ અન્ય વેપારીઓને માર્કેટ કરતા ઓછા ભાવે વેચીને આરોપીઓ પેમેન્ટ કે માલ પરત કર્યા વિના દુકાનના શટર પાડી દઈને ગુનાઈત ઠગાઈનો કારસો રચ્યો હતો. જેથી વરાછા પોલીસમાં આરોપીઓ વિરુધ્ધ નોંધાયેલી ગુનાઈત ઠગાઈ વિશ્વાસઘાતના કારસામાં જેલવાસ ભોગવતા આરોપી દિક્ષિત બાબુભાઈ મિયાણી(રે.ધર્મિષ્ઠાપાર્ક સોસાયટી, વરાછા)એ ચાર્જશીટ બાદ જામીન માંગ્યા હતા.બચાવપક્ષે જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ પ્રથમ દર્શનીય કેસ નથી.આ કેસના અન્ય આરોપી અઝીમ પેનવાલાને હાઈકોર્ટે જામીન આપ્યા હોઈ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી તેજશ અશોકકુમાર પંચોલીએ તપાસ અધિકારી તથા મુળ ફરિયાદી તરફે કુ.સોનલ તિવારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે હાલના આરોપી મુખ્ય કાવતરા બાજ છે.આ કેસના અન્ય આરોપી અનસ દુબઈ ભાગી ગયો છે.હાલના આરોપી વિરુધ્ધ વરાછા પોલીસમાં આજ પ્રકારનો 21 કરોડથી વધુ રકમની ચીટીંગનો ગુનો નોંધાયેલો છે.આરોપીનો સમગ્ર ગુનામાં સક્રીય રોલ હોઈ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા તપાસ પર વિપરિત અસર પડે તેવી સંભાવના છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપીની ચાર્જશીટ બાદ જામીનની માંગને નકારી કાઢી છે.

(5:49 pm IST)