Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

કોરોના વોરિયરને સલામ: ચેપગ્રસ્ત 135 તબીબો અને 92 નર્સો સ્વસ્થ થઇ ફરીથી દર્દીઓની સેવામાં જોડાયા

કોરોના જંગમાં 837 તબીબો અને 609 નર્સોનું ગ્રાઉન્ડ લેવલ મહત્વનું યોગદાન

સુરતઃ સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારીમાં સપડાયું છે, ત્યારે કોરોનાને પરાસ્ત કરવા અનેક કોરોના વોરિયર્સ પોતાનું યોગદાન આપી રહ્યા છે.  કોરોનાકાળના પ્રારંભથી જ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સેવાના અહોભાવ સાથે 837 તબીબો અને 609 નર્સ 24 કલાક કોવિડ વોર્ડમાં પોતાની ફરજ બજાવી કર્તવ્ય નિભાવી રહયા છે.

ફરજ દરમિયાન  સિવિલના 135 તબીબો અને 92 નર્સો કોરોના સંક્રમિત થયા હતા, જે પૈકી 125 તબીબો અને 88 નર્સો કોરોને મ્હાત આપી, પોતાની ફરજમાં જોડાયા છે.

  સિવિલના કોવિડ વોર્ડમાં પ્રધ્યાપક અને વડા તરીકે ફરજ બજાવતા ડો. ટવીંકલ પટેલ દર્દીઓની સારવાર કરતાં 8મી જુને કોરોનાગ્રસ્ત થયા હતા. સ્વસ્થ થઇ પુનઃ ફરજમાં જોડાયા છે. ધ્યેય વિશે જણાવતા ટવીંકલબેન કહે છે કે, હમણાં મારું એક જ ધ્યેય છે કે, ઇશ્વરે વૈશ્વિક મહામારીમાં લોકોની સેવા કરવા  નિમિત બનાવી છે. મારા જેવા કેટલાય ડોક્ટરો, નર્સો, સફાઇકર્મચારી, વોર્ડબોય કોરોના દર્દીની સેવા કરતા સંક્રમિત થયા અને સ્વસ્થ  થઇ ફરજમાં જોડાયા છે.

 નિવાસી તબીબ તરીકે ફરજ બજાવતા ડો.શ્વેતાનો 4થી જુનના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 17 દિવસની સારવાર બાદ કોરોના મુકત થઇ  ફરજ પર હાજર થયા હતા. તેઓ કહે છે કે,  જબ તક કોરોના કા કહર શાંત નહી હોગા તબ તક હમ હિંમત નહી હારેગે ડોકટર કા કર્તવ્ય યહી હૈ. લોકોને સંદેશો આપતા તેઓ કહે છે કે, હમારી હેલ્થ હમારે હી હાથો મે હૈ. સૌ ડોકટરો કોરોનાની સામે લડત ચાલુ રાખીશું.ડો.શાંભવી વર્મા કોરોનાને મ્હાત આપી ફરી દર્દીઓની સેવામાં કાર્યરત છે.

  પીએમએસ ડિપાર્ટમેન્ટ, નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતાં ડો. વર્મા  કહે છે કે,  પરિવારથી વિખૂટા રહીને કોવિડ દર્દીઓને સ્વસ્થ કરવા એ અમારી પહેલી ફરજ છે.  હું પીપીઈ કિટ, સેનિટાઈઝર, ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, હેન્ડ ગ્લોવ્ઝ સહિતની કાળજી રાખવાં છતાં પણ કોરોના સંક્રમણના શિકાર થઈએ છીએ, ત્યારે આમ નાગરિકોએ શક્ય તેટલી સાવધાની રાખી આરોગ્ય તંત્ર અને સરકારને સહકાર આપી  વૈશ્વિક મહામારીનો વ્યાપ રોકવા સૌએ સંકલ્પબદ્ધ થવું જરૂરી છે.

 નવી સિવિલમાં 53 સિનિયર રેસિડન્ટ ડોક્ટરો, 376 જુનિયર રેસિડન્ટ ડોક્ટરો, 84 નોન ક્લિનિકલ એક્ષપટ ડોક્ટર, 10 માઇક્રો બોયોલોજીના, 177 એક્ષપટ ક્લિનિકલક્ષેત્રના, 137 ઈન્ટન ડોકટરો મળી 837 ડોકટરો સેવા આપી રહ્યા છે. જેમાંથી 135 ડોકટરો સંક્રમિત થયા હતા જે પૈકી 125 કોરોનાને મ્હાત આપી ફરી પાછા ફરજ પર જોડાયા છે.

(9:28 pm IST)