Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી

સમગ્ર વિશ્વમાંથી કોરોના મહામારી દૂર થઈ જાય તે માટે પૂજા કરી પ્રાર્થના કરાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ભારતીય સંસ્કૃતિમાં અને તેમાં પણ ખાસ કરીને હિંદુ ધર્મના લોકોમાં ગુરૂનો મહિમા ખૂબ જ મહત્વ ધરાવે છે. ગુરુ શબ્દ બે શબ્દોનો બનેલો છે. "ગુ" અંધકાર અને "રુ" પ્રકાશની યુતિ છે. આમ, ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શક્તિ. ગુરુ એ એવું સરોવર છે જેના સાન્નિધ્યમાં વ્યક્તિ ફક્ત જ્ઞાન જ નથી અર્જિત કરતો પણ જીવનમાં આવનાર મહત્વના સમય વિશે અને એ સમયને કેવી રીતે પસાર કરવો એ વિશે પણ આત્મબળ પ્રાપ્ત કરે છે. ગુરુ હિંમત આપે છે કે કોઈપણ કસોટીથી ડરો નહીં એ તમારા સારા માટે થતી હોય છે. આપણી ભારતીય સંસ્કૃતિ આટલી જે ઉચ્ચ સ્થાને છે એ સ્થાનને જાળવી રાખવામાં ગુરુજનોનો ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો છે અને રહેશે. ગુરુ તો જ્ઞાન - વિવેકથી છલોછલ ભરેલો ચરુ. એ ચરુમાંથી જેટલો ખજાનો તમે અર્જિત કરવા સમર્થ બનો એટલો કરી લેવો જોઈએ. કારણ ગુરુનો આવો મહિમાનો લાભ જે તે સમયે ન લેનારને ઘણી વાર પસ્તાવાનો વારો આવે છે, પણ ત્યારે ઘણું મોડું થઈ જાય છે.

વિશ્વમાં ભારતને જગતગુરુનું બિરૂદ અપાવવામાં જેમનું મોટું યોગદાન રહેલું છે એવા વેદ-પુરાણોના રચયિતા જ્ઞાનના અતુલ ભંડાર એવા ઋષિમુની શ્રી વેદ વ્યાસજીના નામ ઉપરથી પૂર્ણિમાનું નામ પડ્યું તે વ્યાસ પૂર્ણિમા. જે "મેરા ગુરુ મહાન".... ની ઉક્તિ સાર્થક કરે છે.  આમ, ગુરુ દ્વારા જે જ્ઞાન - ભાન થતાં ઈશ્વર પરિચય પ્રાપ્તિ સુગમ બને છે. સંસાર સાગરના બંધનોમાંથી તારનાર તરવૈયા નાવિક - ગુરુ જ છે. ગુરુ શિષ્ય પરંપરામાં ગુરુ દ્વારા જ ઈશ્વરનો પરિચય થતાં મનુષ્ય પશુતાથી ઉપર ઉઠીને દેવત્વ ધારણ કરે છે. ગુરુ પરનો વિશ્વાસ - શ્રદ્ધા ડગલેને પગલે માર્ગદર્શનથી શિષ્યમાં સારી વૃત્તિનો સંચાર કરાવી શિખરે પહોંચાડી સિદ્ધિઓનો સ્વામી બનાવે છે. ભગવાન જેટલું જ મહત્વ ગુરુનું છે. ગુરુભક્તિ દર્શાવતું પર્વ એટલે જ ગુરુપૂર્ણિમા.

સનાતન વૈદિક પરંપરાની સંસ્કૃતિના ગૌરવંતા ગુરુ પૂર્ણિમાના પરમ પાવન પર્વ પુણ્યાતિ  પૂર્ણ દિવસ મનાવવામાં આવે છે. અજોડ મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયમાં  પૂરાણ પ્રસિદ્ધ પ્રાચીનતમ સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન થતું રહે તે માટે ઉદાર દિલે ઉમદા પરંપરા પ્રસ્થાપિત કરી.  ગુરુનું ગૌરવ ગુણશાળી, સત્વ ગુણોથી ગૂંથાયેલું રહે તે માટે શિક્ષાપત્રીમાં પ્રબંધો બાંધ્યા. આ પુણ્યશાળી પરંપરામાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર, આર્ષદ્રષ્ટા ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને  શ્રી સ્વામિનારાયણ ગાદીના પરિવારમાં ગુરુનું પૂજન વેદોક્ત વિધિ અનુસાર તથા ગુરુ મહાત્મ્યનું ગુણગાન કર્યું હતું.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિરે સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનાં દિવ્ય સાનિધ્યમાં તથા પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીની અધ્યક્ષતામાં આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વભરમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનાં મંદિરોમાં વૈદિક મંત્રોના શાંતિપાઠ સહ ગુરુ પૂજન, ગુરુ સ્તુતિ, ગુરુ મહાત્મ્ય, ગુરુના ગુરુત્વનું ગૌરવ સદૈવ ગગનગોખે ગુંજતું રહે તે સાધનામાં લાગી રહેવાની હાકલ કરવામાં આવી હતી.

છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વમાં વૈશ્વિક મહામારી કોરોનાના કારણે  વિશ્વમાંથી કોરોના દૂર થઈ જાય તે માટે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની પૂજા કરી પ્રાર્થના કરી હતી. પ્રાર્થનામાં જે શક્તિ અદ્ભૂત, અલૌકિક છે એ શક્તિ આજે કોઈ ટેક્નોકલોજીમાં જોવા મળતી નથી . સરકારશ્રીના નિયમો અનુસાર ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મણિનગરથી લાઈવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ કર્યાં હતાં. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના દેશ વિદેશના તમામ શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉલ્લાસભેર ઊજવણી કરવામાં આવી હતી.

(1:45 pm IST)