Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

હાલ નવી સિસ્ટમ્સ બનવાની નથી, વરસાદનું જોર ઘટશે

રાજયમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ સાડા ત્રણ ઈંચ વરસી ગયોઃ આ વર્ષે ૮.૬ ટકા વાવેતર થયું

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે જેઠ મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે. અને વાવણી લાયક વરસાદ થતાં ખેડુતો ખૂશખૂશાલ બન્યા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન સારો એવો વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી એક સપ્તાહ સુધી નવું લો- પ્રેશર બનવાની શક્યતા નહીં હોવાથી વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ સાડા ત્રણ ઈંચ વરસાદ થયો છે. જે પાછલા ૩૦ વર્ષની રાજ્યની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૧૦.૩૮ ટકા છે.

હવામાન ખાતાએ જણાવ્યુ હતું કે, ૨૨ જુન સુધીમાં ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં વરસાદ ૫ડ્યો છે. જયારે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, ગીર સોમનાથ, પોરબંદર અને જુનાગઢમાં વરસાદ પ્રમાણમાં ઓછો નોંધાયો છે. આગામી અઠવાડીયામાં રાજ્યમાં વરસાદ ૫ડવાની સંભાવના હાલ નહિવત છે. કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે અંદાજીત ૬.૮૯૪ લાખ હેકટર ખરીફ પાકોનું વાવેતર ૨૧ જૂન  સુધીમાં થયુ છે.

ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૧.૩૯૪ લાખ હેકટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૮.૦૬ ટકા વાવેતર થવા પામ્યુ છે. દરમિયાન સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું કે, સરદાર સરોવર જળાશયમાં ૧ લાખ ૫૦ હજાર ૬૨૭ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૫.૦૯ ટકા છે. રાજયનાં ૨૦૬ જળાશયોમાં બે લાખ ૬ હજાર ૯૧૦ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૩૭.૧૪ ટકા છે.

હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ ૦૪ જળાશય છે. જ્યારે એલર્ટ ૫ર એકપણ જળાશય નથી તેમજ વોર્નીગ ૫ર ૦૭ જળાશય છે. NDRFની કુલ ૧૫ ટીમમાંથી ૫ ટીમો ડીપ્લોય કરી દેવામાં આવી છે. જે પૈકી ૧-વલસાડ, ૧-સુરત, ૧-નવસારી, ૧-રાજકોટ, ૧-ગીર સોમનાથ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે.

જ્યારે ૮- ટીમ વડોદરા અને ૨ ટીમ ગાંઘીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે. વઘુમાં એસ.ડી.આર.એફ, સી.ડબલ્યુ.સી., ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, સિંચાઇ વિભાગ, જી.એસ.ડી.એમ.એ., જી.એસ.આર.ટી.સી તથા સરદાર સરોવર નિગમ લિ. ના અધિકારીઓ ઓનલાઇન મીટીગમાં જોડાયા હતા અને ચોમાસુ અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતુ.

(3:31 pm IST)