Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ખાનગી શાળાઓમાં આરટીઇના મહત્તમ વિદ્યાર્થીઓ ફાળવવા માંગણી :શાળા સંચાલક મંડળે શિક્ષણ નિયામકને લખ્યો પત્ર

વર્ગ દીઠ 10 નહીં બલ્કે 15 વિદ્યાર્થીઓ ફાળવવાની સંચાલક મંડળની રજૂઆત

 

ગાંધીનગર: રાજ્યની ખાનગી સ્કૂલોમાં RTEના મહત્તમ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવે તે માટે ગુજરાત રાજય શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ નિયામકને પત્ર લખી માગણી કરવામાં આવી છે. વાલીઓની અરજીઓને ધ્યાને લઈને આગામી બે વર્ષ માટે મહત્તમ વિદ્યાર્થીઓ ફાળવવા માટે પણ જણાવાયું છે. ઉપરાંત વર્ગ દીઠ 10ના બદલે 15 વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ ફાળવવામાં આવે તે માટે પણ રજૂઆત કરાઈ છે. તેના માટેના શાળા સંચાલક મંડળે તર્કબધ્ધ કારણો પણ રજૂ કર્યા છે.

રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે પ્રાથમિક શિક્ષણ નિયામકને ઉદ્દેશીને લખેલા પત્રમાં રજૂઆત કરી છે કે, 2020-21 અને ચાલુ વર્ષ 2021-22 દરમિયાન કોરોનાના ડર હેઠળ હજી સુધી વાલીઓ પોતાના બાળકોને પ્રાથમિક વિભાગના પ્રવેશ માટે શાળામાં પ્રત્યક્ષ આવવાનું ટાળે છે. ગત શૈક્ષણિક વર્ષમાં પ્રાથમિક વિભાગમાં ધોરણ-1થી 5માં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઈ શક્યું ન હતું. જ્યારે ધોરણ-6થી 8ના વર્ગો થોડાક સમય માટે શરૂ થયા હતા.

છેલ્લા દોઢ વર્ષથી ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી આવેલા કુશળ અને અર્ધકુશળ કારીગરો પોતાના વતનમાં ચાલ્યા ગયા છે, જેના કારણે રાજ્યની તમામ શાળાઓમાં અને ખાસ કરીને મોટા શહેરોમાં વાલીઓ સાથે વિદ્યાર્થીઓના જતા રહેવાથી ખુબ મોટી ઘટ પડેલી છે. આમ, ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી સંખ્યાનું પ્રમાણ ઘટી ગયું છે.

જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં ભૌતિક સુવિધાઓ દિન-પ્રતિદિન વધતી જાય છે અને રાજ્ય સરકારના શિક્ષણ બજેટમાં શ્રેષ્ઠતમ શાળાઓ શરૂ કરવાની યોજના હેઠળ પણ પ્રવર્તમાન શાળાઓમાંથી વિદ્યાર્થી ખેંચાઈને સરકારી પ્રાથમિક શાળાઓમાં ચાલ્યા જાય તેવી શંકા છે.

તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટે પાંચથી સાત વર્ષની ઉંમરના બાળકોના વાલીઓ પાસે અરજીઓ મંગાવવામાં આવેલી છે. મફત અને ફરજિયાત શિક્ષણધારા હેઠળ ધોરણ-1થી 8 સુધી શાળા ફી, પાઠ્ય પુસ્તકો અને યુનિફોર્મનો ખર્ચ સરકાર દ્વારા થનાર હોવાથી RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે વાલીઓ વચ્ચે હોડ લાગશે. RTE હેઠળ શાળામાં ચાલતા માન્ય વર્ગોમાં પ્રત્યેક વર્ગે 25 ટકા વિદ્યાર્થીની ગણતરી કરીને RTE હેઠળ વિદ્યાર્થીની ફાળવણી કરવામાં આવતી હોય છે. RTEના નિયમો મુજબ 40 વિદ્યાર્થીનો એક વર્ગ ગણવામાં આવે છે. આમ, ખાનગી શાળાને 1 વર્ગે ફક્ત 10 વિદ્યાર્થી જ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ફાળવવામાં આવે છે. જોકે, રાજ્યમાં 60 વિદ્યાર્થીએ એક વર્ગ તે મુજબ શિક્ષણ કાર્ય ચાલે છે.

જેથી સંચાલક મંડળ દ્વારા માગણી કરવામાં આવી છે કે, રાજ્યમાં ચાલતી ખાનગી પ્રાથમિક શાળાઓમાં RTE હેઠળ વર્ગદીઠ 60 વિદ્યાર્થી ગણીને તેના 25 ટકા પ્રમાણે 15 વિદ્યાર્થી વર્ગ દીઠ ફાળવી આપવા જોઈએ. ઉપરાંત શક્ય હોય તો RTE હેઠળ 25 ટકા પ્રવેશના નિયમને આગામી 2 વર્ષ માટે બદલી મહત્તમ વિદ્યાર્થીને ફાળવણી વાલીઓની અરજીને ધ્યાને લઈને ખાનગી શાળાઓને કરવામાં આવશે તો તેમને પ્રવેશ આપવાની ખાતરી સંચાલક મંડળે આપી છે.

અમદાવાદ શહેરના દરિયાપુર મતવિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસીંહ ચુડાસમાને પત્ર લખીને 2021-22ની સ્કોલરશીપ પ્રક્રિયા પણ ટૂંકસમયમાં શરૂ થવાની છે. શહેરી વિસ્તારમાં મામલતદાર દ્વારા 1.50 લાખથી ઓછો તેમ જ ગ્રામ્ય વિસ્તાર માટે 1.20 લાખથી ઓછો આવકનો દાખલો આપવામાં આવતો નથી. પરિણામે ગત વર્ષે શહેરી વિસ્તારમાં 1 લાખની મર્યાદા ધરાવતાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખની મર્યાદા હોવાથી જરૂરિયામંદ વિદ્યાર્થીઓ સ્કોલરશીપના ફોર્મ ભરવાથી વંચિત રહ્યાં હતા. આ સ્કોલરશીપ યોજનાનો લાભ જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ લઇ શકે તે માટે આવક મર્યાદા વધારવી અત્યંત આવશ્યક છે. તે વધારીને 2 લાખ કરવા તેમ જ નેશનલ સ્કોલરશીપ માટેના આવકના દાખલા માટે સાંસદ તથા ધારાસભ્યોના આવકના દાખલા માન્ય રાખવા જોઇએ તેવી માગંણી કરી છે. તેમ જ આરટીઇમાં સીંગલ ચાઇલ્ડ સર્ટીફીકેટ આપવાનુ જે તે વિભાગ દ્રારા સૂચના આપતો પરિપત્ર પણ સંલગ્ન વિભાગમાં સત્વરે પહોંચાડવા તથા આરટીઇ માટેના ફોર્મ ભરવાની 10 દિવસની સમયમર્યાદા વધારવા માટે રજૂઆત કરી છે.

(1:18 am IST)