Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

IAS બનવા રાજ્યભરના ઉમેદવારો માટે ખૂબ તકો છે

ઉમેદવારો તેમનો રેન્ક સુધારી શકવા સક્ષમ : આઇએએસ બનવા, સિવિલ સર્વિસીસની પરીક્ષાને પાસ કરવા વિઝન આઇએએસ દ્વારા અમદાવાદમાં ફ્રી સેમીનાર

અમદાવાદ,તા. ૨૪ : આઇએએસ ઓફિસર તરીકેનું અત્યંત પ્રતિષ્ઠાભર્યુ પદ હાંસલ કરવા તેમ જ સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન અને જાણકારી આપતો ફ્રી સેમીનાર અમદાવાદમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન ખાતે યોજાયો હતો. આઇએએસ બનવા માટેનો અભ્યાસ અને શિક્ષણ આપતી દેશની જાણીતી સંસ્થા વિઝન આઇએએસ દ્વારા આ નિઃશુલ્ક સેમીનાર યોજાયો હતો. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ૩૦૦થી વધુ ઉત્સુક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સેમીનારમાં વિઝન આઇએએસના નિષ્ણાત ફેકલ્ટી મેમ્બર રામ રાજપૂત અને યુપીએસસી-૨૦૧૭માં સમગ્ર દેશમાં ૧૩મો ક્રમ મેળવનાર સાગરકુમાર ઝાએ જણાવ્યું હતું કે, આઇએએસ ઓફિસર બનવામાં ગુજરાતના ઉમેદવારો માટે બહુ ઉજળી તકો રહેલી છે કારણ કે, ગુજરાતના ઉમેદવારો આઇએએસ અને સિવિલ સર્વિસીસની પરીક્ષા માટે ઘણો ઉંડો રસ દાખવી રહ્યા છે પરંતુ યોગ્ય માર્ગદર્શન તેમ જ જાણકારીના અભાવે તેઓ થોડા પાછળ પડે છે પરંતુ જો તેઓને સાચી દિશા બતાવાય તો તેઓ તેમના જીવનમાં સફળતાની કેડી કંડારી શકે અને યુપીએસસીની સિવિલ સર્વિસીસની પરીક્ષાઓમાં ગુજરાતનો રેન્ક પણ સુધારી શકવાની ક્ષમતા ધરાવે છે. વિઝન આઇએએસના ડાયરેકટર અજયકુમાર સિંઘ અને નિષ્ણાત ફેકલ્ટી મેમ્બર રામ રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે, યુપીએસસીની પરીક્ષા પાસ કરવી એ બહુ કપરું કાર્ય છે અને તેમાં સફળતાનો રેશ્યો માત્ર ૦.૦૧ ટકા જ છે. ઘણા ઉમેદવારો આ પ્રતિષ્ઠિત પરીક્ષા પાસ કરવા માંગતા હોય છે પરંતુ અપૂરતા માર્ગદર્શન અને સાચી પધ્ધતિના અભાવે તેઓ આ પરીક્ષામાં પાસ થઇ શકતા નથી. મુખ્યત્વે શાળા-કોલેજના કાળથી જ આ પરીક્ષા વિશે વિદ્યાર્થીઓમાં એટલી જાગૃતતા કે ગંભીરતા હોતી નથી અને તેથી તેમને શરૂઆતથી પ્રોત્સાહન મળતું નથી. આ પરીક્ષામાં સફળ થવા માટે ઉમેદવારના કવોલિટી વર્ક, સમજ અને ધગશ બહુ જરૂરી છે. વિઝન આઇએએસ સંસ્થા દેશની સિવિલ સર્વિસીસની પરીક્ષા માટે ઉમેદવારોને તમામ રીતે તૈયારીઓ કરાવતી અને સફળતાનો રાહ ચીંધતી દેશની સૌથી મોટી સંસ્થા છે. સંસ્થાની વિશેષતા અથવા તો આંખે ઉડીને વળગે તેવા પાસા જોઇએ તો, ઓનલાઇન, લાઇવ, રેકોર્ડ વર્ગો, મલ્ટીમોડેલ, નિષ્ણાત તજજ્ઞોનું માર્ગદર્શન, ડિજિટલ શિક્ષણ અને ઓનલાઇન સતત મૂલ્યાંક પધ્ધતિ મુખ્ય છે. વર્ષ ૨૦૧૬માં વિઝન આઇએએસના ૭૦થી વધુ વિદ્યાર્થીઓ ટોપ ૧૦૦માં સમાવિષ્ટ હતા. સંસ્થા દ્વારા અમદાવાદ શહેરમાં તાજેતરમાં જ નવરંગપુરા વિસ્તારમાં આઇએએસ અને સિવિલ સર્વિસીસની પરીક્ષા માટે ઉમેદવારોને તૈયાર કરતું ગુજરાતનું સૌપ્રથમ સેન્ટર સ્થાપ્યું છે. ભવિષ્યમાં સંસ્થા તેના વધુ સેન્ટરો ગુજરાતના અન્ય શહેરોમાં પણ ખોલશે કે જેથી ગુજરાતના વિદ્યાર્થીઓ પણ જીવનમાં સફળતાના શિખરો સર કરી શકે એમ સંસ્થાના સેલ્સ બિઝનેસ હેડ રાહુલ કેજરીવાલે ઉમેર્યું હતું.

(9:18 pm IST)