Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોરના શાળાઓમાં જઇને સરકાર સામે વિરોધ પ્રદર્શન એ એકમાત્ર રાજકીય સ્‍ટંટઃ વિજયભાઇ રૂપાણી

ગાંધીનગરઃ પાટીદારના યુવા નેતા હાર્દિક પટેલ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આરટીઈ હેઠળ એડમિશન ન મળતા વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, તેમની અટકાયત કરાઇ હતી. આજે શનિવારે પણ આ બંને નેતાઓ વિરોધ પ્રદર્શન કરવા જઇ રહ્યા છે. ત્યારે અંગે રાજ્યના મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વિરોધ પ્રદર્શનને માત્ર મીડિયામાં દેખાવવા અને પોલિટિકલ સંસ્ટ ગણાવ્યા હતા.

વલસાડમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ આરટીઈ હેઠળ એડમિશન ન મળતા વિરોધ પ્રદર્શન અંગે નિવેદન આપ્યું હતું. તેમણે પરોક્ષ રીતે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ઉપર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ગણા વર્ષોથી માત્રને માત્ર પોલિકિટ સંસ્ટ કરવા અને મીડિયામાં દેખાતું રહેવું એના સિવાય કશું જ નથી. આમા રચનાત્મક કંઇ જ નથી. થીક છે ચૂંટણી ચૂંટણીનું કામ કરશે.

ઉલ્લેખનીય છે કે, ફી નિયમન, આરટીઈ, શિક્ષણ વિભાગ અને સ્કૂલ સંચાલકોની દાદાગીરી સહિતના મુદ્દે શુક્રવારે પાસ આગેવાન હાર્દિક પટેલ, ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર અને મુકેશ ભરવાડ એક મંચ પર આવ્યા હતા. તમામ નેતાઓએ શુક્રવારે અમદાવાદની ઉદગમ સ્કૂલ પહોંચીનો વિરોધ કર્યો હતો.વિરોધને લઇને સંચાલકો દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી, પોલીસ દ્વારા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી હતી.

ઉદગમ સ્કૂલ ખાતે વિરોધ નોંધાવનાર હાર્દિક પટેલ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, "ગુજરાતમાં શિક્ષણના નામે વેપાર થઈ રહ્યો છે. સરકારે આરટીઈ કાયદો ઘડ્યો હોવા છતાં ગરીબ બાળકોને પ્રવેશ નથી મળી રહ્યો. હાઈફાઇ સ્કૂલોમાં ગરીબ બાળકોને પ્રવેશ ન મળતા છેલ્લી ઘડીએ તેમણે વધારે પૈસા ચૂકવીને અન્ય સ્કૂલોમાં પ્રવેશ લેવો પડે છે. આવી સ્કૂલોમાં પાંચથી છ લાખ સુધીનું ડોનેશન લેવામાં આવે છે. આ કૌભાંડમાં ધારાસભ્યોથી લઇને મંત્રીઓની ભાગીદારી હોય છે. ચૂંટણીના પૈસાના ખર્ચ માટે આ કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. વિજયભાઈ રૂપાણીને શિક્ષણ કેવી રીતે થાય છે તેની સમજ નથી."

અંગે પ્રતિક્રિયા આપતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, "સરકારે ચૂંટણી વખતે કહ્યું હતું કે અમે શિક્ષણમાં વેપારીકરણ બંધ કરીશું. શિક્ષણનું સ્તર સુધારીશું. પરંતુ ચૂંટણી પૂરી થતાં જ હવે સરકાર કહે છે કે શિક્ષણ સસ્તું નહીં થાય. શિક્ષણ સાથે રમત રમવામાં આવી રહી છે. આ કૌભાંડમાં સરકાર અને તેમના મંત્રીઓની ભાગીદારી છે. અમે રાજ્યપાલ અને સીએમનો સમય માંગ્યો છે. જો બે દિવસમાં પ્રવેશથી વંચિત તમામ 30 હજાર બાળકોને પ્રવેશ આપવામાં નહીં આવે તો અમે સીએમ અને તેમના મંત્રીઓ જ્યાં જશે ત્યાં તેમનો વિરોધ કરીશું.

એક અંદાજ પ્રમાણે સ્કૂલનું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ ગયું હોવા છતાં રાજ્યમાં 30 હજારથી વધારે બાળકો આરટીઈ હેઠળ પ્રવેશથી વંચિત છે. સ્કૂલ સંચાલકો વિવિધ બહાના હેઠળ બાળકોને પ્રવેશથી વંચિત રાખી રહ્યા છે. પ્રવેશ માટે રાહ જોઈ રહેલા બાળકોના વાલીઓ આક્ષેપ લગાવી રહ્યા છે કે તેમને જે-તે સ્કૂલમાં પ્રવેશના મેસેજ મળ્યા બાદ જ્યારે તેઓ સ્કૂલનો સંપર્ક કરે છે ત્યારે સ્કૂલ સંચાલકો જગ્યા ભરાઈ ગઈ હોવાના બહાના બનાવી રહ્યા છે.

શુક્રવારે ગાંધીનગર ખાતે શહેરી સ્કૂલ પ્રવેશોત્સવની શરૂઆત કરતી વખતે સીએમ વિજય રૂપાણીએ પણ સ્વીકાર કર્યો હતો કે આરટીઈ હેઠળ પ્રવેશના 10 ટકા કેસમાં હાલ કોઈ સમસ્યા છે. જેને બહુ ઝડપથી દૂર કરી દેવામાં આવશે. આ સ્કિમ હેઠળ 90 ટકા બાળકોને પ્રવેશ આપી દેવામાં આવ્યો છે.

(6:28 pm IST)