Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

હવેથી શાળાઓમાં નવરાત્રિ વેકેશન ન આપવાનો નિર્ણય

ગુજરાત માધ્યમિક શિક્ષણ સમિતિનો મહત્વનો નિર્ણય : ધોરણ-૯, ધોરણ ૧૧માં રિ-ટેસ્ટ પણ નહીં યોજવા માટેનો નિર્ણય : નિર્ણય અંગે વિદ્યાર્થી, વાલીઓમાં મિશ્ર પ્રત્યાઘાતો

અમદાવાદ,તા. ૨૪  આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સમિતિની બેઠક મળી છે. જેમાં હવેથી શાળાઓમાં નવરાત્રિ વેકેશન નહી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત ધોરણ-૯ અને ૧૧માં રિટેસ્ટ નહીં લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શૈક્ષણિક સમિતિના આ નિર્ણયને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. નવરાત્રિ વેકેશનને લઇ શિક્ષણ કાર્યમાં અસર થઇ રહી હોઇ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સમિતિ દ્વારા આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સમિતિની બેઠકમાં આજે માધ્યમિક શિક્ષણ બોર્ડના ૧૫ જેટલા સભ્યો દ્વારા ધોરણ-૧૨ સાયન્સ અને ધોરણ-૧૦ ના પરિણામના ગુણ ચકાસણી અને આગામી શૈક્ષણિક સત્રની ચર્ચા કરવામાં આવી હતી. ગત વર્ષે સરકાર દ્વારા ૧૦ દિવસનું નવરાત્રિ વેકેશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દિવાળી વેકેશન ઘટાડીને માત્ર ૨૦ દિવસનું કરી દેવામાં આવ્યું હતું. જેથી શૈક્ષણિક પ્રક્રિયામાં તકલીફ ઉભી થઈ હતી. જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણના હિતને ધ્યાનમાં રાખીને નવરાત્રિ વેકેશન નહી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને પગલે વિદ્યાર્થીઓને નવરાત્રિનું વેકેશન મળશે નહી. સાથે સાથે બેઠકમાં હવેથી ધોરણ-૯થી ૧૧માં જે રિટેસ્ટ લેવાની પ્રક્રિયા હતી, તે પણ હવે બંધ કરાશે. એટલે કે, ધોરણ-૯થી ૧૧માં રિ ટેસ્ટ લેવામાં આવશે નહી. જો કે, આ નિર્ણયોને  પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં મિશ્ર પ્રત્યાઘાત જોવા મળ્યા હતા.

(8:20 pm IST)