Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

એકમાં અનેક એટલે ૧૧૨ નંબરની અનોખી સુવિધાઃ જાણવા જેવું

૧૦૦ (પોલીસ), ૧૦૧ (ફાયર બ્રિગેડ), ૧૦૮ (મેડીકલ) ઈમરજન્સી જેવી સુવિધા સાથોસાથ આરોગ્ય અને ડીઝાસ્ટર સમયે મદદ માટે ફકત એક જ નંબર ડાયલ કરવાથી તૂર્ત જ મદદ મળે છે : અમદાવાદના નરોડામાં કમાન્ડ સેન્ટર (સ્ટેટ) ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર કાર્યરતઃ ડાયલ કરી અહીં જ રીંગ સર્વ પ્રથમ વાગે છે : ગુજરાતમાં ગીર સોમનાથ, દ્વારકા, બોટાદ, અરવલ્લી, મહીસાગર અને છોટા ઉદેપુર સહિત સાત જિલ્લાને આ સેવામાં આવરી લેવાયા છે : કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુકત સૌજન્યથી ચાલતા આ પ્રોજેકટ અંગે રસપ્રદ વિગતો અકિલા સમક્ષ વર્ણવતા બે વર્ષ નોડલ ઓફિસર રહેલા આઈજી નરસિમ્હા કોમાર

રાજકોટ, તા. ૨૪ :. લોકોની સુખાકારી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઈમરજન્સી સમયે તાત્કાલીક મદદ મળી રહે તે માટે ૧૦૦ (પોલીસ) ૧૦૧ (ફાયર બ્રિગેડ) અને મેડીકલ ઈમરજન્સી વખતે ૧૦૮ નંબર ડાયલ કરવાથી તૂર્ત જ મદદ મળી રહે છે. કેન્દ્ર સરકારે એક નવા અભિગમ તરીકે લોકો અને ખાસ કરીને સિનીયર સીટીઝનો અને મહિલાઓને ઈમરજન્સી સમયે તાત્કાલીક મદદ મળી રહે તે માટે ત્રણ વર્ષ અગાઉ ૧૧૨ નંબરની સેવાનો પ્રારંભ ગૃહમંત્રી રાજનાથસિંહના હાથે કર્યો છે. યુનાઈટેડ સ્ટેટમાં જે રીતે ૯૧૧ નંબર છે તે રીતે આ નવી ૧૧૨ નંબરની સેવા શરૂ કરેલ છે. જેનાથી બહુ ઓછા લોકો પરીચીત છે તો ચાલો આપણે આ સેવા વિશે કેટલીક માહિતી મેળવીએ.

સર્વ પ્રથમ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના સાત જિલ્લામાં હાલ આ સેવાઓ મળી રહી છે. ૧૧૨ નંબર ડાયલ કરવાથી પોલીસ, ફાયર બ્રિગેડ, મેડીકલ અને ભૂકંપ કે બીજી આપત્તિ વખતે ડીઝાસ્ટર સેવાઓ પણ આ નંબર ડાયલ કરવાથી મળી રહે છે. ગુજરાતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુકત સાહસથી ચાલતી આ યોજના અંગે નોડલ ઓફિસર તરીકે રાજ્યના લો એન્ડ ઓર્ડરના વડા સંજય શ્રીવાસ્તવ, લો એન્ડ ઓર્ડરના આઈજીપી નરસિમ્હા કોમાર અને ગૃહ સચિવ છે.

આ સેવાઓ વિશેષ રીતે કાર્યક્ષમ બનાવવા માટે ૧૦૮ સેવાનું અભિયાન ચલાવતા અનુભવી લોકોને જ સુપ્રત કર્યુ છે. આ સેવામાં અત્યંત અનુભવી અને ટેકનોલોજીના જાણકાર લોકોને ફરજ સુપ્રત કરવામાં આવી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગીર સોમનાથ, દ્વારકા, બોટાદ, અરવલ્લી, મહિસાગર અને છોટા ઉદેપુર મળી સાત જિલ્લામાં આ સેવા ઉપલબ્ધ છે. તૂર્તમાં જ આખુ ગુજરાત આવરી લેવામાં આવનાર છે તેમ ૨ વર્ષ સુધી આ સેવાના નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવનાર રાજ્યના લો એન્ડ ઓર્ડરના આઈ.જી. અને સીબીઆઈનુ બેકગ્રાઉન્ડ ધરાવતા નરસિમ્હા કોમારે અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યુ હતું.

અમદાવાદના નરોડામાં કમાન્ડ સેન્ટર (સ્ટેટ ઈમરજન્સી રેસ્પોન્સ સેન્ટર) કાર્યરત છે. આ નંબર ડાયલ થયે ત્યાં જ રીંગ વાગે અને ત્યાંથી જ સંબંધકર્તાને કોલ ટ્રાન્સફર કરી તૂર્ત સુવિધા આપવામા આવે છે. આ માટે સાદો મોબાઈલ પણ ચાલે. ૧૧૨ની એપ્લીકેશન ગુગલ પ્લેમાંથી ડાઉનલોડ થઈ શકે. ૧૧૨ નંબરની સેવાઓ અંગે નરસિમ્હા કોમારે એક રસપ્રદ અને ઉપયોગી વિગત આપતા જણાવ્યુ કે, ફોનમાં એક ઈમરજન્સી નંબર પણ રાખી શકાય. મદદની જરૂર પડયે કોલ સેન્ટર સાથે મોબાઈલમાં સેવ કરેલ ઈમરજન્સી નંબરમાં પણ રીંગ વાગે છે.

૧૧૨ નંબરની સેવાઓનો કોઈ દુરૂપયોગ કરે તો શું ? આવા પ્રશ્નનો જવાબ આપતા આઈજીપી નરસિમ્હા કોમારે જણાવેલ કે, આવા કોલરને, કોલ રેકોર્ડના આધારે બ્લેકલીસ્ટ કરી દેવામાં આવે છે અને જરૂર પડયે તેઓની સામે પગલા પણ લેવામાં આવે છે.

(1:13 pm IST)