Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

ભગવાન ઈન્દ્ર અને વરુણદેવને, રાજ્યમાં સારા વરસાદ માટે ખુશ કરવા રાજ્યના ૪૧ સ્થળોએ સરકાર કરાવશે પર્જન્ય યજ્ઞ : મુખ્યમંત્રી રુપાણી, ઉપ-મુખ્યમંત્રી પટેલ, રાજ્યના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ આ યજ્ઞોમાં લેશે ભાગ

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રુપાણીની આગેવાની વાળી ગુજરાતની ભાજપ સરકાર 31મી મેના રોજ ભગવાન ઈન્દ્ર અને વરુણદેવને સારા વરસાદ માટે રીઝવવા માટે 31 જિલ્લાઓ અને આઠ મુખ્ય શહેરોમાં પરજન્ય યજ્ઞ કરાવશે.

ઉલ્લેખનીય છે કે પાછલા એક મહિનાથી ચાલતા ગુજરાત સરકારના સુજલામ સુફલામ જળ અભિયાનના અંતિમ દિવસે એટલે કે 31મી મેના રોજ પરજન્ય યજ્ઞો કરાવવામાં આવશે. આ અભિયાન હેઠળ નદી, તળાવો, કેનાલ્સ તેમજ પાણીનો સંગ્રહ કરતા અન્ય સંસાધનોને ઉંડા કરવામાં આવ્યા હતા જેથી ચોમાસામાં સિંચાઈ માટેનું પાણી વધુ માત્રામાં સંગ્રહ કરી શકાય.

બુધવારના રોજ થયેલી રાજ્યની કેબિનેટ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં સારો વરસાદ પડે તેની પ્રાર્થના કરવા માટે 31મી મેના રોજ પરજન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતભરમાં 41 સ્થળોએ આ યજ્ઞો થશે અને પ્રસાદ વહેંચવામાં આવશે. હું, મુખ્યમંત્રી વિજય રુપાણી, રાજ્યના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ આ યજ્ઞોમાં ભાગ લેશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ ઉનાળામાં પાણીની તંગીનો સામનો કરવો પડ્યો છે. ઉનાળાની શરુઆતમાં જ ગુજરાતના 204 ડેમ્સમાં માત્ર 29 ટકા જ પાણી છે. પાછલા વર્ષે આ સમય દરમિયાન 40 ટકા પાણી ઉપલબ્ધ હતું. 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રુપાણી સરકારને ચિંતા છે તે, જો ચોમાસામાં વરસાદ ઓછો પડશે અને પાણીની તંગીની સ્થિતિ વકરશે તો ચૂંટણીમાં તેની અસર જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે કલેક્ટર્સને તેમના જિલ્લામાં યજ્ઞનું આયોજન કરવાનો આદેશ આપ્યો છે, તેમજ સીનિયન IAS ઓફિસર એ.એમ.તિવારીને ઈવેન્ટના ઈન-ચાર્જ રાખવામાં આવ્યા છે. એક સૂત્રના જણાવ્યા અનુસાર, ઉત્તરપ્રદેશના મુરાદાબાદથી ખાસ કળશ મંગાવવામાં આવશે અને મોટા પ્રમાણમાં તેને વહેંચવામાં આવશે. આ સિવાય ગ્રામીણો અને શહેરીજનોને યજ્ઞમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

 

(9:52 am IST)